Publish Date: Mon, 28 Jan 2019 (13:20 IST)
Updated Date: Mon, 28 Jan 2019 (13:23 IST)
રાજનેતાઓ જનતાની સેવા કરવા માટે છે પોતાના વાણીવિલાસથી લોકોની માનસિકતા બદલવા માટે નહીં. ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વાણી વિલાસ તેમની છબીને વધારે સુદ્રઢ નથી બનાવતો પણ તેમની માનસિકતાને છતી કરે છે. એક મા એના કાળજાના કટકાને પોતાના ધાવણથી પાળેપોશે છે ત્યારે એ કોઈપણ જગ્યા હોય. આખરે માતાની મમતા તો નિરાળી છે એનાથી મૂલ્યવાન આ જગતમાં કોઈ બીજી ચીજ નથી. પરંતુ હંમેશા પોતે જ એક માત્ર દેશભક્ત હોય તેવા ગુજરાત ભાજપનાં પ્રમુખ જીતુ વાઘાણી ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. રવિવારે રાધનપુર ખાતે ભાજપ યુવા મોરચાના એક સંમેલનને સંબોધન કરતાં તેઓ નહેરૂ ગાંધી કુટુંબ માટે ઘસાતું બોલવામાં તમામ સીમા પાર કરી ગયા હતા. પોતાના વાણી વિલાસમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા મહામંત્રી પ્રિયંકા ગાંધી કમાન્ડોનાં ઘેરામાં જ જુમ્યા છે અને કમાન્ડોએ જ તેમનું ઘોડીયુ ઝુલાવ્યુ હશે તથા તેઓએ દુધ પણ કમાન્ડોના ઘેરા વચ્ચે જ પીધુ હશે તેવો બફાટ કર્યા હતા. મોદીની પ્રસંસા કરીને પોતાની રાજકીય ઊંચાઈ વધારવામાં એક પણ શબ્દની કમી ન રાખતા વાઘાણીએ મોદી કેવી સાદાઈ વચ્ચે ઉછર્યા છે તે દર્શાવી રહ્યા હતા. તેઓએ કહ્યું કે રાહુલ અને પ્રિયંકા કમાન્ડો વચ્ચે જુમ્યા છે ઉછર્યા છે. અને દુધ પીધુ છે અને હવે તેઓ દેશ વિશે વાત કરે છે.કમાન્ડો સતત તેની આસપાસ હોય છે જેથી તેમનું અપહરણ ન થાય! તેઓએ પછી તમામ મર્યાદા ઓળંગતા કહ્યું કે હું એ ચોકકસ નથી કે તેઓ બાળક તરીકે દુધ પીતા હશે તે સમયે પણ કમાન્ડો તેની આસપાસ હશે. જોકે બાદમાં જીતુ વાઘાણી થોડો સમય મૌન બની ગયા અને પછી મારૂ કહેવાનું આમ ન હતું તેમ ન હતું તેમ કહીને ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોવાની પોલીટીકલ રેકર્ડ ચાલુ કરી હતી. કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું કે જીતુ વાઘાણી માતાના દુધના મુલ્યોની હાંસી ઉડાવી છે ગાંધી કુટુંબે તો દેશ માટે બલીદાન આપ્યા છે તેઓ પર હુમલાનો ખતરો છે તેથી કમાન્ડો સુરક્ષા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ પ્રમુખ અમીત શાહ અને આરએસએસનાં વડા મોહન ભાગવતે કઈ બલીદાન આપ્યા નથી. છતા ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ છે. કોંગ્રેસના પ્રવકતા જયદ્રથસિંહ પરમારે વધુમાં કહ્યુ કે પ્રિયંકા ગાંધીના આગમનથી વાઘાણી જેવા ભાજપના નેતાઓએ માનસીક સંતુલન ગુમાવી દીધુ છે.