Publish Date: Tue, 30 Mar 2021 (08:40 IST)
Updated Date: Tue, 30 Mar 2021 (08:43 IST)
દેલાડ ગામમાં ગાંધીજીએ રાત્રીરોકાણ કર્યાની સાથે જ અહી સભા પણ યોજી હતી. સભાને સંબોધતા ગાંધીજીએ કહ્યું હતું કે, હું ચોવીસ કલાક વિચાર કરતો રહું છું. છતાં મને લાગે છે કે, હું પ્રમાણમાં ઘણું ખાઉં છું. દેશમાં અસંખ્ય માણસોને માત્ર રોટલો ને ખરાબ મીઠું મળે છે.
છતાં મોહવશ થઇ હું દૂધ ખાતો-પીતો સેવા કરી રહ્યો છું. આ પાપી પેટને દૂધ આપવું પડે છે. ચાલતાં-ચાલતાં, ડગલે ને પગલે મને દરિદ્રનારાયણનાં જ વિચાર આવ્યા કરે છે અને તેથી આજે ટમટમતાં ફાનસો જોઈ મને જાણે હર્ષના ઊભરા આવે છે. આપણે આ રાક્ષસી સલ્તનત સામે બાથ ભીડી છે, આ તો મીઠાનો મીઠો સંગ્રામ છે.
તકલી ચલાવો, રેંટિયો ચલાવો, તમારે હૈયે જો ભગવાન વસે, હિંદના ગરીબોની દયા વસે, તો રેંટિયો ચલાવજો. લોકમાન્યે કહ્યું કે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. એ હક આપણે કેમ ન માનીએ? પ્રાણ જાય પણ એ ન છોડીએ,ઈશ્વર આપણને એવી સદ્દબુદ્ધિ આપે.'