Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની કરાઇ ઉજવણી

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની કરાઇ ઉજવણી
, મંગળવાર, 30 માર્ચ 2021 (08:29 IST)
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચ ને સોમવાર ના રોજ સવારે ૮:૦૦ થી ૯ - ૩૦ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશુંડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીધા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગાઈને ઓચ્છવ કરવામાં આવ્યો હતો.
 
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ - રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, ધુળેટી ને કુલદોલોત્સવ, રંગોત્સવ કે પૉખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રેવતાચળ - ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિદ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો.આમ,ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.
 
“ફૂલદોલોત્સવ" શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે - જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે.જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે.વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર - બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર - બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.
 
સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ “કુલદોલોત્સવ" ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે.કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો - ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૮૫ કિ.ગ્રામ ચાંદી વડે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજત તૂલા કરાઇ