Publish Date: Wed, 31 Jan 2018 (14:52 IST)
Updated Date: Wed, 31 Jan 2018 (14:57 IST)
ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી બળીને સ્વાહા થઈ જવાની ઘટના અંગે પરેશ ધાનાણીએ વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગ ગોડાઉનમાં નહિં પણ ખેડૂતોના હૃદયમાં લાગી છે. ભાજપે ખેડૂતોનાં પરસેવાની કમાણી છીનવી છે. ખેડૂતોના પરસેવાની કમાણી મળતિયાઓને મળે છે. ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પહેલાં ગાંધીધામ અને ત્યારબાદ ગોંડલમાં આગ લાગી છે. મગફળીમાં માટી અને ધૂળની ભેળસેળ કરવાનું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે. સરકાર તપાસના નામે તરકટ ચલાવે છે. ગોડલ યાર્ડમાં લાગેલી આગમાં મોટી માત્રામાં મગફળીનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતાં પરેશ ધાનાણી આકરા પાણીએ જોવા મળ્યાં હતા. તેમણે સરકારની ઝાટકણી કાઢતાં, સરકાર તપાસના નામે તરકટ ચલાવતી હોવાનો આરોપ લગાવી, સરકાર આ બધું બંધ કરે અને યોગ્ય રીતે કાર્ય કરે તેમ કહ્યું હતું. આ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જવાબદારો કે દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતાં, પરેશ ધાનાણીએ ખેડૂતોની કાળી મહેનત બળીને ખાખ થઈ જવા પાછળ મોટું કૌભાંડ હોવાનું પણ કહ્યું હતું.