જો આ રેટ રહે તો કોરોનાના 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકેઃ એએમસી કમિશ્નર
Publish Date: Fri, 24 Apr 2020 (15:42 IST)
Updated Date: Fri, 24 Apr 2020 (15:42 IST)
કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના1652 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર થાય અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હું યુવાનોને હું વિનંતિ કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોને સાચવે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાન સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરીને બિરદાવીશ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતિ છે.
આગળનો લેખ