Publish Date: Wed, 04 Jul 2018 (12:42 IST)
Updated Date: Wed, 04 Jul 2018 (12:45 IST)
ગાંધીનગર, જો અમને મંત્રી બનાવવામાં નહીં આવે તો શું અમે મંજીરા વગાડીશું, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ અંગે એક ટીવી ઈન્ટરવ્યુમાં ચીમકી પણ આપી હતી કે અમારી પાસે ત્રણ ધારાસભ્યો છે અને જો અમારી વાત માનવામાં નહીં આવે તો ત્રણ ના તેર અને તેર ના ત્રેવીસ ધારાસભ્યો થતા પણ વાર નહીં લાગે. જે બાબત સાબિત કરે છે ભાજપના હાલ જોવા જઈએ સરકારની કામગીરીને લઈને વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના કદાવર નેતા કુંવરજી બાવળિયા ભાજપ જોડાયા અને તેની સાથે જ તેમને કેબીનેટ મંત્રી તરીકે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જો કે આ બાબત જ ભાજપ માટે મુશ્કેલી પણ ઉભી કરી દીધી છે. કુંવરજી બાવળિયાને કેબીનેટ પ્રધાન બનાવવાની સાથે જ ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોએ તેનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. જેના પગલે ભાજપ ફરી એક વાર મુશ્કેલીમાં મૂકાઈ ચુક્યું છે.
શિસ્તબદ્ધ કેડરબેઝડ પાર્ટી માટે સેંકડો કાર્યકરોને બોર્ડ- નિગમના ચેરમેન કે ડિરેક્ટરપદ શુદ્ધાં મળતુ નથી ત્યાં આવી પોંખણાબાજી સામે સોશિયલ મીડિયાથી લઈને આપસમાં નેતાઓ, હોદ્દેદારોમાં સખત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તેની અસર સચિવાલયમાં મંગળવારી ભરવા આવેલા ધારાસભ્યોમાં પણ જોવા મળી હતી.
99 બેઠકો સાથે પૂર્ણ બહુમતીએ ચાલતી ભાજપની સરકારને એવું તે કયું જોખમ છે કે આવું કરવું પડયું ? એ પણ હવે જે વ્યક્તિ હવે ધારાસભ્ય જ નથી તેને છેક કેબિનેટ મંત્રીપદ સોંપવું પડયું ? આ સવાલ મોટાભાગના ધારાસભ્યો કરી રહ્યા હતા. નવી સરકારની રચના બાદ પુરસોત્તમ સોલંકીએ વિભાગોની ફાળવણી મુદ્દે નારાજગી દર્શાવી હતી. શેહરાના ધારાસભ્ય જેઠા ભરવાડના સર્મથકોએ પણ હોહલ્લો કર્યો હતો. એટલું ઓછું હોય તેમ તાજેતરમાં જ વડોદરાના ત્રણ ધારાસભ્યો નારાજગી દર્શાવી ચૂક્યા છે.
ભાવાવેશથી ઘર બાળી તીરથ કરનારા ભાજપના કાર્યકરો, ધારાસભ્યો, નેતાઓ હાર્ડકોર કોંગ્રેસી એવી કુંવરજી બાવળિયાની એન્ટ્રીથી સખત નારાજગી દર્શાવી છે.