Publish Date: Fri, 01 Nov 2019 (12:59 IST)
Updated Date: Fri, 01 Nov 2019 (13:34 IST)
અભિનેત્રી આમના શરીફ શો ‘કસોટી ઝિંદગી કેય’માં કોમોલિકા તરીકે પ્રવેશ કરીને ટેલિવિઝન ઉદ્યોગમાં ભારે ચકચાર જગાવી ચૂકી છે. કોમોલિકા એવું અનોખું પાત્ર છે જેને આ પહેલા ઉર્વશી ધોળકિયા અને હિના ખાન જેવા દિગ્ગજો ભજવી ચૂક્યા છે. આમનાનું કોમોલિકા તરીકેનું પ્રદર્શન દેશભરમાં ફેલાયેલા દર્શકોના હૃદય જીતવામાં સફળ રહ્યું છે. આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની આ પ્રસ્તુતિ વડે ફરી એક વખત વધુ પ્રશંસા જીતશે તે વાતમાં કોઈ શંકા નથી. તાજેતરમાં જ અમને જાણવા મળ્યું છે કે આમના આ શોનો ભાગ બન્યા બાદ પોતાને માટે એક ખાસ ભેટ લેવા જઈ રહી છે.
આમના શરીફે પોતાને માટેની ભેટની શોધ કરી લીધી છે, અને એવું લાગે છે કે તેની નજર એક ખાસ સાડી ઉપર છે. હાલમાં જ તેની નજર તેની એક મિત્રની ગુજરાતમાં ખાસ રીતે તૈયાર કરાયેલી ઘરચોળા સાડી ઉપર પડી. એવું જાણવા મળ્યું છે કે તે હાથ બનાવટની ઘરચોળા સાડી માટે એક લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે!
જ્યારે આ વિશે પૂછ્યું ત્યારે આમના શરીફે જણાવ્યું કે, “મારી એક ખાસ મિત્રે નવરાત્રી દરમિયાન આ વિશેષ સાડીની વાત મને કરી અને ત્યારથી હું તેની શોધમાં લાગી હતી. જેવી મારી નજર ઘરચોળા સાડી ઉપર પડી, મને ખ્યાલ આવી ગયો કે મારે પોતાને આ જ ભેટ આપવી છે! મારે ગુજરાતમાં બની હોય તેવી અસલી સાડી જોઈતી હતી આથી મેં તેની શોધ શરૂ કરી છે અને મને લાગે છે કે મારી શોધ પૂરી થવા આવી છે. આ મારી અત્યંત ખાસ પસંદમાની એક બની રહેશે."