વડોદરાના રાજકારણમાં ભૂકંપઃ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું
Publish Date: Thu, 23 Jan 2020 (11:00 IST)
Updated Date: Thu, 23 Jan 2020 (11:02 IST)
સાવલી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઈનામદારે નારાજગીના લીધે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ધારાસભ્ય તરીકે અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પોતાના મતવિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતું હોવાનો હવાલો આપી ઈનામદારે વિધાસભા અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે. કેતન ઈનામદારના રાજીનામાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થતા સાવલી તેમના નિવાસસ્થાને સમર્થકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા. ઈનામદારે પોતાના ત્યાગપત્રમાં લખ્યું કે 'વહીવટીતંત્રના સંકલન તેમજ ઉદાસીનતાના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.' ઈનામદારે લખ્યું 'ભારતીય જનતા પાર્ટીની શીસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુ:ખદ છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણાએ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતની અવગણતા છે.' કેતન ઈનામદારે લખેલો પત્ર જેમાં તેણે સરકાર અને અધિકારીઓ સામે નારાજગી દર્શાવી છે. ઈનામદાર પત્રમા ઉમેરે છે કે મારા પ્રજાજનો હિતો અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મારે ભારે હ્દયે પક્ષની તમામ શિશ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવી છે. અને નાછુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર 135- સાવલી વિધાનસભાના ધારાસભ્યપદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.
આગળનો લેખ