Publish Date: Mon, 21 Sep 2020 (10:06 IST)
Updated Date: Mon, 21 Sep 2020 (10:18 IST)
સોમવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે. પાંચ દિવસીય સત્ર દરમિયાન સરકાર લગભગ 20 ખરડા પર ચર્ચા કરશે. સત્ર પહેલાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના અને ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 6 ધારાસભ્યો સંક્રમિત મળી આવ્યા છે. જેમાં કોંગ્રેસના 4 અને 2 ભાજપના ધારાસભ્ય છે. કોંગ્રેસના પૂનાભાઇ ગામિત (વ્યારા), નાથાભાઇ પટેલ (ધાનેરા), વીરજી ઠુમ્મર (લાઠી) અને જશુ પટેલ (બાયડૅ) જ્યારે ભાજપના કનુ દેસાઇ (આરડી) અને કનુ પટેલ (સાણંદ) સંક્રમિત મળી આવ્યા છે.
વિધાનસભામાં કર્મચારી તથા અધિકારી અને કર્મચારી સહિત 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 5 દિવસના સત્ર માટે કોરોના નેગટિવ થશે એવા મંત્રી અને ધારાસભ્યો તથા અધિકારી તથા પત્રકારોને પ્રવેશ આપવામાં આવશે.
કોરોના સામેની લડાઇ વચ્ચે સરકાર વિધાનસભા સત્રનો પ્રાંરભ કરશે. જોકે કોરોનાને કારણે આ સત્રમાં પશ્નોતરીને ટુંકાવી દેવામાં આવી છે. અને મહત્વના વિધેયક અને વાર્ષિક અહેવાલ પર સમીક્ષા કરવામાં આવશે. આજે બપોરે 12 વાગે શરુ થનારા સત્રમાં ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓના પગાર ભથ્થાને લગતા કાયદા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, સત્રના પ્રથમ દિવસે રજુ કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નોતરી પર જવાબ આપવામાં આવશે.
રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલમાં માસ્ક વિના ફરી રહેલા પોલીસ કર્મચારીને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહી શરદી થઇ હોવાથી માસ્ક ન પહેર્યું હોવાનો બચાવ કરતાં તેમણે પોલીસને તેના ઘરે મોકલી દીધો હતો. તેમણે કહ્યું કે માસ્ક ધારાસભ્યો માટે પણ અનિવાર્ય છે. ધારાસભ્ય બોલવા ઉભા થાય ત્યારે માસ્ક ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં સાંસદોએ ચર્ચામાં સામેલ રહેવા માટે માસ્ક ઉતારી દીધા હતા. રૂપાણી સરકારમાં ત્રણ મંત્રીઓને અત્યાર સુધી કોરોના પોઝિટિવ થયો છે. જયેશ રાદડિયા ઘરે જ કોરોન્ટાઇન હોવાથી ઉપસ્થિત રહેશે નહી. એવી સંભાવના છે કે રાજ્યસભા હકૂભા જાડેજા પણ અંતિમ દિવસોમાં ઉપસ્થિત રહે. વનમંત્રી રમણ પાટકર થોડા દિવસોથી પોતાના કાર્યાલાય પર આવ્યા નથી. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસના 16 ધારાસભ્યોને કોરોના થઇ ચૂક્યો છે.