Publish Date: Tue, 15 Oct 2019 (12:11 IST)
Updated Date: Tue, 15 Oct 2019 (12:20 IST)
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની આવક કરતા જાવકમાં વધારો કરવા અનેક ફેરફારો કરાયા છે. જેમાં ડ્રાઇવર-કંડક્ટરની રોજની ટ્રીપની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરીને બિન જરૂરી ખર્ચા ઉપર કાપ મુકવા ડેપો મેનેજરોને આદેશ કર્યો છે. ત્યારે એસટી નિગમની આવકમાં વધારો થાય તે માટે પાસ ધારકોને ફરજિયાત જીરો નંબરની ટિકિટ આપવા અને પાસનો નંબર ઇટિકિંટિંગ મશીનમાં એન્ટ્રી કરવા કંડક્ટરોને આદેશ કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં 82.50 ટકા કન્સેશન અને મુસાફર પાસમાં 50 ટકા કન્સેશન અપાય છે. જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીની પાસમાં 100 ટકા કન્સેશન અપાય છે. રાજ્યમાં વિદ્યાર્થી પાસ ધારકો અંદાજે 12 લાખ અને કર્મચારી પાસ ધારકો અંદાજે 4 લાખ છે. એસટી બસના પાસમાં અપાતું કન્સેશનનો ચાર્જ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચક રકમ અપાતી હતી. પાસ ધારકોની સંખ્યા વધુ હોવાથી એસટી નિગમને આર્થિક માર પડતો હતો. જેથી પાસધારકોને ટિકિટ આપવાનો નિર્ણય લીધો હોવાનું નિગમના સૂત્રોએ જણાવ્યું છે. પાસના નંબરની એન્ટ્રીથી વિદ્યાર્થીઓનો ધસારો હોય તો વધુ બસની સુવિધા કરી શકાશે.