જાતિવાદના નામે આનંદીબહેન હોમાયા હવે પ્રાંતવાદના નામે રૃપાણી
Publish Date: Fri, 12 Oct 2018 (12:22 IST)
Updated Date: Fri, 12 Oct 2018 (12:26 IST)
હિંમતનગરના ઢુંઢરમાં ૧૪ મહિનાની બાળકી પર આચરાયેલા દુષ્કર્મ બાદ ભાજપ- કોંગ્રેસ વચ્ચે જામે એક પ્રકારનું યુદ્ધ શરૃ થયું છે. આવી સ્થિતિ વચ્ચે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખૂબ જ ગંભીર ટ્વિટ કરી છે જેમાં લખ્યું છે કે, પહેલા જાતિવાદની હોળીમાં આનંદીબહેન હોમાયા હતા હવે પ્રાંતવાદનો પલિતો ચાંપીને મુખ્યમંત્રી વિજય રૃપાણીને ઉથલાવવાનું ષડયંત્ર છે.
ધાનાણીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા થયા બાદ મોટા પાયે હિજરત શરૃ થઈ હતી જેને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર હૂમલાનો આક્ષેપ લાગ્યો હતો. જેથી આ મુદ્દે અલ્પેશે આજે ઉપવાસ કર્યા હતા. ઉપવાસના સ્થળેથી જ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
વિપક્ષના નેતાએ રાજ્યમાં સત્તા પરિવર્તનની આશંકા વ્યક્ત કરી છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી અને રિમોટ કંટ્રોલથી ચાલતી રૃપાણી સરકારનું રાજીનામું લેવા માટે ઉપર બેઠેલા આકાઓએ જ ષડયંત્ર શું કામે રચ્યું છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. અંતે તેઓએ કહ્યું છે કે ભાજપ દ્વારા જ વિજય રૃપાણીને હટાવવાનું કાવતરું છે. પરપ્રાંતીયો પર હુમલો કરીને રૃપાણી સરકારને હટાવવાની આ ચાલનો સરકાર જવાબ આપે.
આગળનો લેખ