Publish Date: Wed, 01 May 2019 (12:11 IST)
Updated Date: Wed, 01 May 2019 (12:14 IST)
સાધિકા દુષ્કર્મ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચના રિમાન્ડના સમય દરમિયાન જ કેસની તપાસ ઢીલી કરવા નારાયણ સાંઈએ અન્ય આરોપીઓના મેળા પિપણામાં વિવિધ તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓને રૂ.13 કરોડની લાંચનો આપવાનો કારસો ઘડાયો હતો. પણ રિવર્સ ટ્રેપમાં રોકડા રૂ.8 કરોડ પકડાઇ ગયા હતા.
નારાયણ સુરત ક્રાઇમ બ્રાંચની પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે દુષ્કર્મ કેસની તપાસ સાથે સંકળાયેલી અન્ય એજન્સીના ઉચ્ચ અધિકારીઓને રૂ.13 કરોડની લાંચ આપવાનો ખેલ ખેલાયો હતો. જોકે તેની ગંધ સુરત પોલીસને આવી ગઇ હતી. નારાયણના ઇશારે સાધક ઉદય સાંગાણી તથા સુરત ક્રાઈમ બ્રાંચના પોસઈ ચંદુ કુંભાણી, ડ્રાઈવર ધીરેન્દ્ર વગેરે વાતચિત કરી હતી. તે વાતચિત ઇન્ટરસેપ્ટ કરીને તત્કાલીન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ રિવર્સ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ત્રણેય આરોપી રોકાડ રૂ.8 કરોડ સાથે પકડાઇ ગયા હતા.
બાદમાં ચંદુ મોહન કુંભાણી, ઉદય નવિનચંદ્ર સાંગાણી, કેતન મહાદેવ પટેલ, ધીરજ નરીમાન પટેલ (માછી) હસમુખ ઉર્ફે હસુદાદા દલપત ઉપાધ્યાય, ભાવેશ ચતુર પટેલ, હિતેન્દ્રસિંહ હમીરસિંહ વાઘેલા, નરેશ ઉર્ફે રૂપાભાઈ માનકાની, નારાયણ ઉર્ફે નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન, ભદ્રેશ મનહર પટેલ, કાંતિ દેવસી પટેલ તથા સી.એ.હિમાંશુ બિપીનચંદ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. લાંચ કેસમાં પહેલા બિલ્ડર કેતન પટેલના સી.એ.હિમાંશુ શુક્લને સાક્ષી બનાવ્યા બાદ સરકારપક્ષે પાછળથી સીઆરપીસી-૩૧૯ મુજબ આરોપી તરીકે જોડવા કરેલી માંગને કોર્ટે મંજુર કરી આરોપી બનાવ્યા હતા.
સુરતની સાધિકા દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધની તપાસનું સુપરવિઝન કરતા તત્કાલીન ડીસીપી કુ.શોભા ભૂતડાને પણ મધ્યપ્રદેશથી આરોપી રાજુ ગજરામ નયનસિંગ યાદવ (રે.પીપરેસરા, થાના પીપરાઈ મધ્યપ્રદેશ)દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ડીસીપી શોભા ભૂતડાએ ઉમરા પોલીસમાં અજાણ્યા ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે મોબાઈલ નંબરના આધારે આરોપી રાજુ યાદવને સુરત પોલીસે ઝડપી લઈ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.