Publish Date: Fri, 02 Aug 2019 (12:10 IST)
Updated Date: Fri, 02 Aug 2019 (12:12 IST)
વડોદરાના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસ પણ પાણી ઓસર્યા નથી. જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં ગંદકી જ ગંદગી જોવા મળી રહી છે. બીજી તરફ કેટલાક તકસાધુઓ હાલાકીનો ભોગ બનેલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને જીવજરૂરી વસ્તુઓના વધારે ભાવ વસૂલી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. વડોદરાના એક વિસ્તારમાં રૂ. 28ની દૂધની થેલીના રૂ. 35 વસૂલી ઉધાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂર બાદ વડોદરા શહેરમાં શાકભાજીના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે. લોકોના કહેવા શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે.
બીજી તરફ શાકભાજી વેચતા લોકોએ દાવો કર્યો છે કે તેમણે શાકભાજી લેવા માટે જીવના જોખમે જવું પડી રહ્યું છે. આ ઉપરાંત શાકભાજી લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે. જેના કારણે તેઓ શાકભાજીની થોડી વધારે કિંમત વસૂલ કરી રહ્યા છે.બે દિવસ પૂરના પાણીમાં ફસાયેલા રહ્યા બાદ વડોદરામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી છે. મીડિયા સાથે વાતચીત કરતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે બે દિવસથી ફસાયેલા રહ્યા હતા. ખાવાના પણ ઠેકાણા નથી. સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની નડી રહી છે. બીએમસીનું જે પાણી આવી રહ્યું છે તેનો ટેસ્ટ બદલાઈ ગયો છે. આથી બીમારીના ભયને કારણે તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા છે.