Publish Date: Fri, 02 Aug 2019 (10:58 IST)
Updated Date: Fri, 02 Aug 2019 (11:00 IST)
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં શુક્રવારે સ્કૂલો-કોલેજો બંધ રાખવામાં આવી છે. જો કે, વડોદરામાં જળસંકટ યથાવત રહેતા અડધી રાત્રે NDRFએ 138 લોકોને એર લિફ્ટ કર્યા હતા.
વડોદરામાં બુધવારે થયેલા ભારે વરસાદથી સામાન્ય લોકોનું જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. 20 ઈંચ જેટલો વરસાદથી અડધા કરતા વુધ વડોદરા બેટમાં ફેરવાઇ ગયું હતું. ત્યારે હજી પણ વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો અટવાયા છે. વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને NDRFના જવાનો બચાવ કાર્ય કરી રહ્યાં છે. ત્યારે 10 હજાર કિલોથી વધુ સામાન સાથે એનડીઆરએફની ટીમ પૂણેથી વડોદરા આવી પહોંચી છે.
NDRFની 11 ટીમો હાલ વડોદરામાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી રહી છે. ત્યારે પૂણેથી ખાસ વધુ 5 ટીમો બોલાવવામાં આવી છે. આ ટીમો વડોદરાના વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરશે. જેમાં વડસર, સિદ્ધાર્થ બંગ્લોઝ, હરણી, કાલાઘોડા, મકરપુરા, કારેલીબાગ અને જરોદ જેવા વિસ્તારોમાં બચાવ કાર્ય હાથ ધરશે. IAF C130 એરક્રાફ્ટ દ્વારા NDRFની ટીમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી હતી.