Publish Date: Fri, 30 Mar 2018 (13:47 IST)
Updated Date: Fri, 30 Mar 2018 (13:53 IST)
મજુરાગેટ ખાતેના જનશક્તિ આઇલેન્ડમાં દેહવેપારનો વીડિયો વાયરલ થતા હંગામો મચી ગયો છે. મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરીંગ કોલેજ પાસેના વિસ્તાર સાંજ પડતા જ લલનાઓથી ઉભરાઇ જાય છે. પોલીસના નાક નીચે જ દેહવિક્રય માટે લલનાઓ અડિંગો જમાવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન વીડિયો વાયરલ થતા લોકોએ તંત્ર અને પોલીસ પર ટીકાઓનો વરસાદ કર્યો છે. ત્યારે સ્થાનિકો અગાઉ વરિયાવી બજારની બદનામ પ્રવૃતિ મજૂરાગેટમાં ચાલતી હોવાથી શહેરની શાનમાં કલંક લાગતું હોવાનું જણાવી રહ્યાં છે. ટ્રાફિકથી સતત ધમધમતા રીંગરોડ (જયપ્રકાશ નારાયણ રોડ) પર મજુરાગેટ ખાતેનો જનશક્તિ આઇલેન્ડ આસપાસનો વિસ્તાર દેહવેપારનો અડ્ડો બની ગયો છે. લલનાઓ અઠવાગેટ બાદમાં દયાળજી આશ્રમ અને હવે મજૂરાગેટ ટ્રાફિક આઇલેન્ડ પાસે અડિંગો જમાવે છે. કેટલીક ઓટો રીક્ષામાં તેમના એજન્ટ સાથે મજૂરાગેટથી ટર્નિંગ પોઇન્ટ સર્કલ સુધી આંટા મારતી હોય છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, પોલીસની કાર્યવાહીના થોડા દિવસો બાદ સ્થિતિ ફરી એવી જ થઇ જતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.