Publish Date: Mon, 02 Dec 2019 (14:47 IST)
Updated Date: Mon, 02 Dec 2019 (15:10 IST)
હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજુઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓએ માંગ કરી છે કે સરકાર પોતાના હસ્તક આ સ્કૂલ લઇ અને ચલાવે અને જો આ માંગ નહીં સ્વીકરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. CBSE દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ ડીપીએસ સ્કૂલમાં ભણી રહેલા ધોરણ 10 અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે તેમને સીબએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાશે. એટલે કે હાલ ડીપીએસમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલની માન્યતા રદ થવા છતાં આગામી માર્ચ 2020 માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. CBSE બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાં હાલ ભણી રહેલા ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે. આ પ્રક્રિયામાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ પણ મદદરૂપ થશે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલ માં ખસેડવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.