Publish Date: Wed, 09 Oct 2019 (11:24 IST)
Updated Date: Wed, 09 Oct 2019 (11:28 IST)
108 સેવાની એમ્બ્યુલન્સની બેદરકારીને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માસીના દિકરાનું મૃત્યુ થયું છે ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો, પરંતુ ઓપરેટરેની ગેરસમજના કારણે 108ની ગાડી છેક ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું. મુખ્યમંત્રી મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવતા તુરંત કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમના માસીના દીકરા અનિલભાઇ કેશવલાલ સંઘવીનું અવસાન થતા તેમના પરિવારજનોને સાંત્વના આપવા તેમના નિવાસ સ્થાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે ગયા હતા. પરિવારજનોએ 108ની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવતા તુરંત મુખ્યમંત્રીએ કલેક્ટરને આ અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.