વાઘ આવ્યો ભાઈ વાઘ આવ્યો પણ હવે શું ખરેખર આવ્યો? વનકર્મીઓ જંગલને ખુંદી વળ્યા
Publish Date: Mon, 11 Feb 2019 (12:39 IST)
Updated Date: Mon, 11 Feb 2019 (12:42 IST)
3 દિવસ પહેલા શિક્ષકે રસ્તા પર જતાં વાઘને જોયો હતો. વનવિભાગ આ વાઘના પુરાવા મેળવવા કામે લાગ્યો છે. તેને શોધવા માટે મહીસાગરના જંગલને વન કર્મીઓ ખુંદી રહ્યા છે. લગભગ ત્રણેક દાયકા બાદ ગુજરાતમાં વાઘની હાજરી નોંધાઈ છે. આ માટે વાઘને ટ્રેસ કરવા વનવિભાગના એક્સપર્ટ વનકર્મીઓની ટીમ નાઈટ વિઝન ટ્રેપ કેમેરા સહિતના આધુનિક સાધનો લઈને કામે લાગી છે.સ્થાનિકોની પૂછપરછ અને પુરાવા શોધવા ગોધરાથી આવેલા નાયબ વનસંરક્ષક ડૉ. અંશુમાન શર્માએ પ્રત્યક્ષદર્શી શિક્ષક મહેશભાઈ મહેરાએ લીધેલી તસવીર સાથે ઘટનાસ્થળની મુલાકાત લઈ, સરખામણી કરી હતી. સ્થાનિકો વાઘ જોયાનું ખાતરીપૂર્વક કહે છે. બીજી તરફ, વનવિભાગ આધારભૂત પુરાવો મેળવવા માટે જ્યાં જ્યાં વાઘ હોવાના અણસાર સ્થાનિકોએ જણાવ્યા છે, ત્યાં ત્યાં સીસીટીવી કેમેરા તેમજ નાઈટવિઝન કેમેરા અને એક્સપર્ટ વનકર્મીઓને સાથે રાખીને વાઘનું સર્ચ ઓપરેશન કરી રહી છે.લુણાવાડાના શિક્ષકના દાવા પ્રમાણે તપાસ હાથ ધરતા વનવિભાગને વાઘનું ડ્રોપિંગ, ફૂટપ્રિન્ટ, વૃક્ષ પરથી નહોરનાં નિશાનના પુરાવા મળ્યા છે. વનવિભાગના મતે આ બધા ઇનડાયરેક્ટ પુરાવા છે. જેના આધારે ગુજરાતમાં વાઘની હાજરી ન સ્વીકારી શકાય. આ માટે લુણાવાડા, પાનમ ડેમ, સંતરામપુર સહિતના વિસ્તારમાં વાઘને ટ્રેક કરાશે.
આગળનો લેખ