Publish Date: Sat, 09 Feb 2019 (13:20 IST)
Updated Date: Sat, 09 Feb 2019 (13:29 IST)
મહેસૂલ વિભાગના અધિકારીઓએ મળીને શ્રીસરકાર હસ્તકની બામણબોર-જિવાપરની જમીનને ખાનગી માલિકીની જમીનમાં ખપાવી દઈને વેચી મારવાનું કૌભાંડ મહેસૂલ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવી જતાં તેમાં સંડોવાયેલા હોવાથી અનેક અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જોકે ઝાલાવાડના તત્કાલિન અધિક કલેક્ટર, ચોટીલાના પ્રાન્ત અધિકારી, અને તત્કાલીન મામલતદારના ચાર્જમાં રહેલા નાયબ મામલતદારને ફરજ પરથી ઉતારી મૂકીને એન્ટિ કરપ્શન બ્યુરોએ આ કેસમાં તપાસનો આદેશ આપ્યો તેથી આ જિલ્લાના અન્ય અધિકારીઓ ફફડી ઊઠયા છે.
શ્રીસરકાર હસ્તકની જમીન વેચી મારીને રૃ. ૨૫૦થી ૩૦૦ કરોડથી વધુ રકમની કમાણી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા આ મામલામાં પગલાં લેવામાં વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ ૭૦૦ એકર જેટલી જમીનની માલિકી મળ્યા પચી રાતોરાત જ તે જમીન બીજી પાર્ટીઓને વેચી દેવામાં આવી છે. તેના પર દસ્તાવેજની નોંધની વિગતો પણ આવી ગઈ છે. સરકાર આ મુદ્દે તપાસ આગળ વધારી રહી છે. મની અને મશલ્સ પાવરથી આ કૌભાંડમાં કામ લેવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓની મિલી ભગતમાં જ તેને અંજામ આપવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓ રજા પર પણ ઉતરી ગયા છે.