Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રીન એન્ડ કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ લેશે : ઉર્જા મંત્રી સૌરભ પટેલ

ગ્રીન એન્ડ કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ લેશે : ઉર્જા મંત્રી સૌરભ પટેલ
ગાંધીનગર: , મંગળવાર, 16 જુલાઈ 2019 (11:16 IST)
ગ્રીન અને કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશભરનું નેતૃત્‍વ કરી રહ્યું છે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના સબળ નેતૃત્‍વમાં આ વર્ષના બજેટમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે ખાસ ભાર આપવામાં આવ્‍યો છે. એટલું જ નહીં, ગુજરાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં  ૩૦ હજાર મેગાવોટ એટલે કે ૩૦ ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવા માટે ખાસ આયોજન હાથ ધર્યુ હોવાનું ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. 
 
ફ્રાન્‍સના પેરીસમાં નવેમ્‍બર, ૨૦૧૫ દરમ્‍યાન યોજાયેલી ૨૧મી કોન્‍ફરન્‍સ ઓફ પાટીઝ(Conference of Parties)અંતર્ગત ૧૧મી માર્ચ, ૨૦૧૮ રોજ દિલ્‍હી ખાતે યોજાયેલી ઇન્‍ટરનેશનલ સોલાર એલાયન્‍સમાં ઉપસ્‍થિત ૧૨૧ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ બિનપરંપરાગત ઉર્જા ઉત્‍પાદન સંદર્ભે સંકલ્‍પ જાહેર કર્યો હતો કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારત દેશ ૧૭૫ ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પન્‍ન કરશે. તેમણે જણાવ્‍યું હતું હતું કે, રાષ્‍ટ્રના આ સંકલ્‍પની સિધ્‍ધિ માટે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના ઉર્જાવાન નેતૃત્‍વમાં ગુજરાતે અગ્રેસર રહેવાનું નકકી કર્યુ છે અને આ માટે બહુકોણીય આયોજન કર્યુ છે.
 
ઉર્જા મંત્રીએ કલીન અને ગ્રીન એનર્જીના ઉત્‍પાદન માટેના ગુજરાતના બહુલક્ષી આયોજનની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવાનું નકકી કર્યુ છે. જેનો દ્વિસ્‍તરીય અમલ થશે. જેમાં ઉત્‍પાદિત થનારી  ૨૦ હજાર મેગોવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ગુજરાત માટે ઉપયોગમાં લેવાશે. જયારે ૧૦ હજાર મેગાવોટ ઊર્જા કેન્દ્ર અને અન્‍ય રાજયોને પૂરી પાડવામાં આવશે. 
 
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩માં ગુજરાતની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા જે ૪૧૨૬ મેગવોટ હતી, તે આજે અંદાજે ૯ હજાર મેગોવોટ સુધી પહોંચી છે. જેને વર્ષ ૨૦૨૨ સુધીમાં  ૩૦ હજાર મેગાવોટ સુધી લઇ જવામાં આવશે. આ પૈકી  જે ૨૦ હજાર મેગાવોટ વીજળી ગુજરાત માટે ઉત્‍પન્‍ન કરવામાં આવશે. તેના માટે રાજય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં સોલાર પાર્કની સ્‍થાપના, ખાનગી જમીન ઉપર નોન પાર્ક એરીયા તરીકે લોકોને ઉર્જા ઉત્‍પાદન માટે પ્રોત્‍સાહિત કરવા, સ્‍કાય યોજના અને રૂફટોપ યોજનાનો વ્‍યાપ વધારવો, સ્‍મોલ સ્‍કેલ અંતર્ગત વીજ ઉત્‍પાદનને પ્રોત્‍સાહિત કરવા પર ભાર મૂકાશે. 
 
રાજ્યના નાગરિકો પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ગોઠવી ઘરમાં સૌર ઉર્જા ઉત્‍પાદિત કરી શકે તે માટેની મહત્‍વાકાંક્ષી એવી નવી સોલાર રૂફટોપ યોજના રાજય સરકારે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ ૩ કિલોવોટ સુધીની સોલાર સીસ્‍ટમ બેસાડનાર પરિવારોને નિયત કરાયેલી કિંમત ઉપર ૪૦ ટકાની સબસીડી અને ૩ થી ૧૦ કિલોવોટ સુધીની સોલાર સીસ્‍ટમ બેસાડનાર પરિવારને ૨૦ ટકા સબસીડી આપવમાં આવશે. આ યોજના માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂા. ૧ હજાર કરોડની જોગાવાઇ કરવામાં આવી છે. આ યોજનાથી રાજયભરના ર લાખ પરિવારોને લાભ થશે. આ વર્ષે આ યોજનાથી ૬૦૦ મેગાવોટ સૌર વીજ ઉત્‍પાદન થવાનો લક્ષ્‍યાંક છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યભરના ૮ લાખ પરિવારો દ્વારા ૨ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવામાં આવે તેવો લક્ષ્‍યાંક નકકી કરાયો છે. 
 
રાજયભરમાં પ્રથમ વખત નાના પાયા પર સૌર ઉર્જાના ઉત્‍પાદન સાથે લોકોને સાંકળવા નવી યોજના શરુ કરવામાં આવી છે. જેમાં કોઇ વ્‍યકિત ખેડૂત, સોસાયટી, સહકારી મંડળી, કંપની કે પેઢી ૫૦૦ કિલોવોટથી માંડીને ૪ મેગાવોટ સુધીનો સૌર ઉર્જા પ્‍લાન્‍ટ સ્‍થાપીને વીજ ઉત્‍પાદન કરશે તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) આ વીજળી ખરીદશે. એટલું જ નહીં, પણ આ માટે કોઇ ટેન્‍ડર પ્રક્રિયામાં ભાગ લેવો નહી પડે. 
 
સરકારે જે છેલ્‍લું ટેન્‍ડર બહાર પાડયું હોય તેનો ભાવ ઉપરાંત પોતાની માલિકીની જમીનના ઉપયોગ માટે પ્રતિયુનિટ વધારાના ૨૦ પૈસા આપવામાં આવશે. રાજ્ય સરકાર આવા નાના ઉત્‍પાદકો પાસેથી ૨ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્‍પાદન કરવાનો લક્ષ્‍યાંક ધરાવે છે. સુર્યશકિત કિસાન યોજના-સ્કાય અંર્તગત ખેડૂતો જાતે જ વીજ ઉત્‍પાદન કરી શકે તેવી જોગાવઇ કરાઇ છે. આ યોજનાના સારા અનુભવો અને ખેડૂતોના ઉત્‍સાહને ધ્‍યાને લઇ, આ યોજના માટે રાજય સરકારે રૂા.૫૨૪ કરોડની જોગવાઇ કરી છે. 
 
રાજય સરકારે દેશભરમાં સૌ પ્રથમ વખત સબસ્‍ટેશનો આસપાસની પડતર જમીનનો સૌર ઉર્જા ઉત્‍પાદન માટે ઉપયોગ કરવાનું નકકી કર્યુ છે. રાજયભરમાં આવેલા ૨ હજાર સબ સ્‍ટેશનો પૈકી  ૮૨૨ સબસ્‍ટેશનો આસપાસની જગ્‍યા નકકી કરવામાં આવી છે. જે પૈકી ૨૭૧ સબ સ્‍ટેશનો આસપાસ જમીનોની સરવેની કામગીરી ચાલુ છે, જયારે ૫૧ સબ સ્‍ટેશનોની નજીકની જમીનો માટે જિલ્‍લા કલેકટરને અરજી કરાઇ છે. આવા સબસ્‍ટેશનો નજીકની પડતર જમીન ઉપરથી સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવા ૨૫૦૦ મેગાવોટના ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે. 
 
આ જગ્યાઓ ઉપર આગામી વર્ષમાં ઉર્જા ઉત્‍પાદનની કામગીરી પૂર્ણ થશે. આ કામગીરી માટે રૂા.૫૦૦/- કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના સબ સ્ટેશનોનીજમીનો ઉપર સૌર ઉર્જા ઉત્‍પન્ન કરવાથી ગુણવત્‍તાવાળી વીજળી મળી રહેશે. ઉપરાંત સબ સ્‍ટેશન નજીક જ હોવાથી ટ્રાન્‍સમિશન લોસ પણ ઘટશે. સબસ્ટેશનો નજીક આવેલી પડતર જમીન પર વીજ ઉત્‍પાદન કરનારુ ગુજરાત દેશભરનું પ્રથમ રાજય બની રહયું છે. 
 
મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ધોલેરા ખાતે ૫૦૦૦ મે.વો.ના સોલાર પાર્ક સ્થાપનાનું લક્ષ્યાંક છે જે પૈકી ૪૦૦૦ મે.વો. ભારત સરકારના NTPC તથા સેકી દ્વારા સ્થાપવામાં આવશે. ગુજરાત સરકારે ધોલેરામાં ૧ હજાર મેગાવોટના સોલાર પાર્કની સ્‍થાપનાના લક્ષ સાથે કામગીરી શરુ કરી દીધી છે. જેમાં પ્રાંરભિક તબક્કે ૨૫૦ મેગાવોટના બીડ બહાર પાડયા હતાં. જેમાં પ્રતિયુનિટ વીજળીના ભાવ રૂા.૨.૭૫ રહયા છે. બાકીના  ૭૫૦ મેગાવોટના બીડ જુલાઇ માસના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત  બનાસકાંઠા વિસ્‍તારના રાધાનેસડા ખાતે પણ રાજય સરકારે  ૭૦૦ મેગાવોટનો સૌર ઉર્જા પાર્ક સ્‍થાપવાનું નકકી કર્યુ છે. જે પૈકી ૫૦૦ મેગાવોટ  માટે  પ્રતિયુનિટ  રૂા.૨.૬૫ના બીડ મળ્યા છે. બાકીના ૨૦૦ મેગાવોટ  સૌર ઉર્જા માટેના બીડ ખુલ્‍લા છે, જે  જુલાઇ માસના અંતે ભરાશે.
 
રાજયમાં સોલાર પાર્ક ઉપરાંત ખાનગી જમીન ઉપર સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવા ઇચ્‍છતા સાહસિકો માટે ’’નોન પાર્ક’’ યોજના અંતર્ગત લોકો જાતે જ જમીન મેળવે,  અને સોલાર પ્રોજેકટ સ્‍થાપે તે માટે ૧ હજાર મેગાવોટના લક્ષ્‍યાંક સાથે ૫૦૦ મેગાવોટના બે બીડ અનુક્રમે રૂા. ૨.૪૪ અને રૂા. ૨.૬૫ પ્રતિ યુનિટના આપવામાં આવ્યા છે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે. રાજય સરકારે સૌર ઉર્જા ઉપરાંત પવન ઉર્જા ઉત્‍પાદન કરવા ઉપર પણ ભાર મૂકયો છે. રાજય સરકારે પવન ઉર્જા માટે ૫૦૦ મેગાવોટનો લક્ષ્‍યાંક નકકી કર્યો છે. રાજ્યમાં ૨૩૩ મેગાવોટ પવન ઉર્જાનું ઉત્‍પાદન થઇ રહયું છે. જયારે નવા ૫૦૦ મેગાવોટ ઉર્જા માટેના બીડ ખુલ્‍યા છે. 
 
માત્ર રાજય પૂરતું જ નહીં, પરંતુ દેશ માટે પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદન કરવાનું ગુજરાતે લક્ષ્‍ય રાખ્‍યું છે. આ માટે રાજય સરકારે સૌર ઉર્જા અને પવન ઉર્જાના એક સાથે ઉપયોગ કરવા હાઇબ્રીડ પોલીસી અમલમાં મૂકી છે. જે અંતર્ગત કચ્‍છ વિસ્‍તારમાં હાઇબ્રીડ પાર્ક સ્‍થાપવાનો નિર્ણય કરાયો છે. ૧૦ વર્ષમાં આ યોજના અંતર્ગત  ૩૦ હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્પન્‍ન કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવેલ છે. આ યોજના દ્વારા ઉત્‍પાદિત સંપૂર્ણ વીજળી રાજ્યની બહાર પહોંચાડવામાં આવશે. આ વીજળી ખરીદવા કેન્‍દ્ર સરકારની એન.ટી.પી.સી.અને સેકી દ્વારા વીજ ખરીદી માટે તૈયારી દર્શાવાઇ છે. આ ઉપરાંત ધોલેરામાં પ હજાર મેગાવોટનો વિશાળ સૌર ઉર્જા પાર્ક સ્‍થાપવાનો જે નિર્ણય લેવાયો છે તેમાંથી ૧ હજાર મેગાવોટ રાજયમાં અને બાકીના ૪ હજાર મેગાવોટ સૌર ઉર્જા રાષ્‍ટ્રને આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ: વાહન વ્યવહાર રાજ્યમંત્રી