Publish Date: Wed, 02 Sep 2020 (00:20 IST)
Updated Date: Wed, 02 Sep 2020 (00:22 IST)
ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયમિત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેંબર સુધી બંધ રહેશે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજીક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. દુકાનોને હવેથી 24 કલાક સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. ઓટો રિક્ષામાં એક ડ્રાઈવર બે મુસાફરો બેસી શકશે. ટેક્સી અને ખાનગી વાહનોમાં એક ડ્રાઈવર અને બે મુસાફરો બેસી શકશે. ખાનગી વાહનની બેઠક ક્ષમતા 6થી વધુ હોય તો ચાર લોકોને મંજૂરી આપવામાં આવી છે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. થિયેટર બંધ રાખવામાં આવ્યા છે. ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.