Publish Date: Wed, 04 Oct 2017 (15:02 IST)
Updated Date: Wed, 04 Oct 2017 (15:35 IST)
રાજ્યની સરકારી પોલિટેકનિક અને ડિગ્રી ઈજનેરી કોલેજમાં ફરજ બજાવતા કરાર આધારિત લેકચરરોને કાયમી નહીં કરાતા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં અને મહાઉપવાસનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં આશરે ૫૦૦ જેટલાં અધ્યાપકો હાજર રહ્યા હતા ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી ૩૦ જેટલી સરકારી પોલિટેકનિક અને ૧૭ જેટલી ઈજનેરી કોલેજોમાં કરાર આધારિત લેક્ચરરો અને આસીસ્ટન્ટ પ્રોફેસરો દસ વર્ષથી ફરજ બજાવે છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પચાસ વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ૫ વર્ષથી વધુ સેવા છતાં સળંગ સેવા ગણાતી નથી. વર્ષોથી પગાર વધારો અપાયો નથી. વર્ગ-૨ની જગ્યા છતાં વર્ગ-૩થી પણ ઓછો પગાર ચૂકવાય છે. નોટિસ વગર ૧૦૦ લેક્ચરરને છૂટા કરવામાં આવ્યાં હતા. હાલમાં જ કરાર આધારિત લેક્ચર અને આસી.પ્રોફેસરોને ૬૪ ટકાથી ૧૨૪ ટકા સુધીના પગાર વધારાથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. તેની સામે ઉચ્ચ શિક્ષણ વિભાગના ખંડ સમયના લેક્ચરરને કાયમી કરવાની જાહેરાત કરાઈ હતી. તેના કારણે એકને કણ અને એકને મણ જેવી સ્થિતિ સર્જાઈ છે.