Publish Date: Mon, 31 Jan 2022 (16:41 IST)
Updated Date: Mon, 31 Jan 2022 (16:46 IST)
છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનાર શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઇ ગઇ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે કરજણ બંધનું એલાન આપતા બજાર જડબેસલાક બંધ રહ્યું હતું. તે સાથે વડોદરાના પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુરના રામજી મંદિરમાં લોકો એકઠા થયા હતા. જ્યાં રામધૂન અને હનુમાન ચાલિસા ચાલી રહી હતી. આ દરમિયાન 40થી વધુ લોકોના ટોળાએ પાઈપ અને હથિયારથી હુમલો કર્યો. આ મામલે પોલીસે 20 શખ્સો વિરુદ્ધ નામજોગ અને 40 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.બબાલને પગલે છોટાઉદેપુરની બજારો બંધ કરી દેવામાં આવી છે તેમજ ઠેર ઠેર પોલીસ પહેરો ગોઠવી ચાંપતો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે.