Publish Date: Wed, 24 Nov 2021 (08:53 IST)
Updated Date: Wed, 24 Nov 2021 (08:53 IST)
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરો જેવા કે જૂનાગઢ, રાજકોટ, શહેરોમાં ઈંડા, નોનવેજની લારીઓ તેમજ ગલ્લાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેને લઈ ભારે વિવાદ સર્જાયો છે.
ત્યારે જૂનાગઢ મનપા કચેરીએ લારીધારકોને મ્યુનિ. કમિશનરે બૂમાબૂમ કરી કચેરીમાંથી કાઢી મૂક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં મહાપાલિકા દ્વારા લારીઓ હટાવામાં આવી હતી. જેને લઈને હવે મોટો વિવાદ સર્જાયો છે.
આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે.
આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.