Publish Date: Wed, 21 Aug 2019 (16:43 IST)
Updated Date: Wed, 21 Aug 2019 (16:50 IST)
: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28-29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ સંગઠન સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત આગામી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમિત શાહ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેવાના છે.
જેને લઇને નાનકડા સંઘ પ્રદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી બાદ પ્રથમ વખત પ્રદેશમાં આવી રહેલા ગૃહ પ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહનું ભવ્ય સ્વાગતના આયોજન માટે પ્રદેશના પાટનગર સેલવાસમાં મહત્વની બેઠક મળી હતી. પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દમણના સંસદ લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રદેશના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં અમિત શાહના ભવ્ય સ્વાગત અને સન્માન માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રદેશની મુલાકાત દરમિયાન અમિતશાહ કેન્દ્ર સરકારના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજ કરશે. ત્યારે આગામી સમયમાં આ બંને સંઘપ્રદેશને જોડવાના તર્ક વિતર્કને વેગ મળી રહ્યો છે. અમિત શાહની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી કોઈ મોટી જાહેરાત પણ કરાય તેવી એક આશંકા પણ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે પ્રશાસકે મીડિયાના સવાલને ટાળવાનું પસંદ કર્યું હતું. ત્યારે નાનકડા સંઘ પ્રદેશમાં દેશના ગૃહમંત્રીના આગમનને લઇ વહીવટી તંત્ર દોડતું થયું છે.
આ ઉપરાંત અમિત શાહ 28 અને 29 ઓગસ્ટ અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ પીડીપીયુના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ ચર્ચા થઇ શકે છે.