Publish Date: Sat, 10 Aug 2019 (07:57 IST)
Updated Date: Sat, 10 Aug 2019 (08:06 IST)
પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અરૂણ જેટલીની તબિયત જોવા માટે પહોંચ્યા હતા. આ પહેલાં અરુણ જેટલીને શુક્રવારે સવારે 11 વાગે શ્વાસની તકલીફ સાથે ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મેડિકલ તપાસ માટે શુક્રવારનાં સવારે 11 વાગ્યે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને સીએન (ન્યૂરો કાર્ડિયેક) સેંટરમાં એડમિટ કરવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે અશક્તિ અને ગભરામણનાં કારણે તેમને ભરતી કરવામાં આવ્યા.
ગત વર્ષે ઑગસ્ટમાં અરુણ જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યસભામાં હાથ ન મિલાવતા વિવાદ થયો હતો. એ વખતે વડા પ્રધાને હસ્તધનૂન માટે હાથ લંબાવ્યો હતો પરંતુ જેટલીએ ફક્ત સ્મિત આપી નમસ્તે કર્યું હતું.
આ સ્થિતિની તસવીરો અને વીડિયો વાઇરલ થયા હતા અને અનેક લોકોએ આને રાજકીય અંતરની ઘટના ગણાવી હતી.
.ખરેખર જેટલીએ હાથ ન મિલાવ્યો તેની પાછળ રાજકીય નહીં પરંતુ આરોગ્યની બાબત જવાબદાર હતી. અરુણ જેટલી એ વખતે જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું છે. ત્યારબાદ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. આથી દર્દીને શક્ય હોય ત્યાં સુધી અન્ય લોકો સાથે શારીરિક રીતે સંપર્કમાં નહીં આવવાની સલાહ આપવામાં આવે છે.
નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીમંડળની રચના વખતે અરુણ જેટલીએ નાદુરસ્ત તબિયતને લઈને પોતે સરકારમાં મંત્રી બનવા માગતા નથી એમ કહ્યું હતું. એમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લાં પોણાં બે વર્ષથી તેમની તબિયત ખરાબ છે અને સારવાર ચાલી રહી છે.
ઍઇમ્સમાં તેમને આઇસીયૂમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેમ ડૉક્ટરો જણાવે છે