Publish Date: Thu, 01 Aug 2024 (16:12 IST)
Updated Date: Thu, 01 Aug 2024 (16:14 IST)
ઉત્તરાખંડમાં બુધવારે રાત્રે થયેલા અતિભારે વરસાદને કારણે કેદારઘાટીમાં ઘણું નુકસાન થયું છે. સોનપ્રયાગથી આગળના રસ્તા પર ચાલવાનો માર્ગ ધોવાઈ ગયો છે.
બુધવારે રાત્રે કેદારનાથમાં ભારે વરસાદને કારણે ભીમબલીમાં એમઆરપીની પાસે 20થી 25 મીટરનો ચાલવાનો રસ્તો ધોવાઈ ગયો છે.
વરસાદને કારણે રસ્તામાં મોટા-મોટા પથ્થરો આવી ગયા છે અને આ કારણે રસ્તા રોકાઈ ગયા છે. ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ટીમને તહેનાત કરવામાં આવી છે.
લગભગ 200 યાત્રીઓને ભીમબલ ગેસ્ટહાઉસમાં રોકવામાં આવ્યા છે. રૂદ્રપ્રયાગમાં પણ મોડી રાતે થયેલા ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.
પોલીસની જાણકારી પ્રમાણે, "સોનપ્રયાગની મુખ્ય બજારથી લગભગ એક કિલોમીટર આગળ રસ્તાનો ઘણો ભાગ નદીના ધોવાણ અને પહાડ તૂટવાથી વહી ગયો છે."
આ જ રીતે ગૌરીકુંડની આસપાસ જંગલ ચટ્ટી અને ભીમબલી વચ્ચે કેટલીક જગ્યાઓ પર લિંચોલી વિસ્તારમાં ચાલવા માટેના રસ્તાને નુકસાન થયું છે.
પોલીસે અપીલ કરી છે કે રૂદ્રપ્રયાગ પહોંચેલા પ્રવાસીઓ જ્યાં છે ત્યાં જ સુરક્ષિત રહે. વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસે કેદરનાથ યાત્રાને મોકૂફ રાખવાની અપીલ કરી છે.
ભારે વરસાદને કારણે ગુરુવારે જિલ્લાની બધી જ શાળાઓ અને અંગણવાળીઓમાં પણ રજા રાખવામાં આવી છે.