Publish Date: Tue, 22 Nov 2022 (09:56 IST)
Updated Date: Tue, 22 Nov 2022 (09:58 IST)
Indonesia Earthquake: સોમવારે ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં આવેલા ભૂકંપને કારણે 162 લોકોના મોત, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે. ભૂકંપ બાદ થયેલા વિનાશથી સ્થાનિક લોકો ડરી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. ભૂકંપના કારણે સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને લોકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું હતું.
ભૂકંપના 25 આંચકા
ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ 25 આફ્ટરશોક્સ નોંધાયા હતા. આ દરમિયાન લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે તબીબોએ દર્દીઓને ઉતાવળમાં હોસ્પિટલની બહાર કાઢ્યા હતા. દર્દીઓને હોસ્પિટલોમાંથી સલામત રીતે બહાર કાઢતાં તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ દરમિયાન ગંભીર દર્દીઓની સારવાર અટકી પડી હતી.
ભૂકંપના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભયભીત લોકોમાં બેચેની હતી કારણ કે તેઓ વીજળીના અભાવે ન્યૂઝ ચેનલોમાંથી અપડેટ મેળવી શકતા ન હતા. ઈન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે કાટમાળ નીચે હજુ પણ 25 લોકો ફસાયેલા છે, બચાવ કામગીરી રાત સુધી ચાલુ રહેશે. અમારો પ્રયાસ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.
એજન્સીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધીને 162 થઈ ગયો છે. 2000થી વધુ મકાનોને નુકસાન થયું છે. તેમજ 5,000થી વધુ લોકોને સુરક્ષિત કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા છે.