Publish Date: Mon, 27 Nov 2017 (17:42 IST)
Updated Date: Mon, 27 Nov 2017 (17:47 IST)
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં એક સમયે જેઓ આ ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી જોરદાર અટકળો હતી તેવા ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારા, એન.કે અમિન અને તરુણ બારોટના નામ ક્યાંય ખોવાઈ ગયા છે. ઈશરત જહા એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાએ તો પોતાની જેલમુક્તિ બાદ અનેક રેલીઓ પણ કાઢી હતી, અને પોતે ચૂંટણી લડવાના છે તેવા સ્પષ્ટ સંકેત પણ આપી દીધા હતા. હવે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકેય પક્ષે વણઝારાને ટિકિટ નથી આપી ત્યારે વણઝારાએ એક અખબારને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની એનજીઓ દ્વારા સોશિયલ વર્ક ચાલુ રાખશે. એન્કાઉન્ટર કેસના અન્ય આરોપી પોલીસ અધિકારી એનકે અમીન અને તરુણ બારોટ પણ આ ચૂંટણી લડવા ઈચ્છુક હતા. તેમણે જો ટિકિટ મળે તો ચૂંટણી લડવા તેઓ તૈયાર છે. એન.કે. અમીનને નિવૃત્તિ બાદ પણ સરકારે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂંક આપતા તેઓ ભાજપની ખૂબ નજીક હોવાની પણ ચર્ચા હતી પણ હવે તેમના સપના અધુરા રહી ગયાં છે.