Publish Date: Mon, 13 Nov 2017 (12:26 IST)
Updated Date: Mon, 13 Nov 2017 (12:36 IST)
ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા રાજકારણના ખેરખાં ગણાય છે અને તેમણે પોતાની રમત રમવામા પોતાના પુત્ર મહેન્દ્રસિંહ સાથે નારાજગી વ્હોરી હોવાની ચર્ચાઓ પ્રકાશમાં આવી છે. બાપુએ કોંગ્રેસ છોડયા પછી ભાજપની ટીકીટ અને મંત્રીપદ ફાઈનલ હોવા છતાં બાપુ અને અમીત શાહ વચ્ચે છેલ્લી ઘડીઓ થયેલા રાજકીય છુટાછેડાને કારણે મહેન્દ્રસિંહના રાજકીય જીવન ઉપર પ્રશ્નાર્થ આવી ગયો છે.
કોંગ્રેસ છોડતા અગાઉ ભાજપે મહેન્દ્રસિંહને ખાતરી આપી હતી કે કોંગ્રેસ છોડવાની કિમત પેટે ભાજપ વિધાનસભાની ટીકીટ આપશે અને મંત્રી મંડળમાં સામેલ પણ કરશે, જેના કારણે મહેન્દ્રસિંહ સહિત કોંગ્રેસી ધારાસભ્ય બહાર નિકળ્યા હતા, બીજી તરફ અમીત શાહ અને બાપુ વચ્ચે ગોઠવણ થયા પ્રમાણે બાપુ ભાજપની બી ટીમ તરીકે ત્રીજો મોર્ચો શરૂ કરી,જયારે બાપુ સાથે બહાર નિકળેલા મહેન્દ્રસિંહ સહિત અન્ય ભાજપ સાથે રહે, પણ બાપુની જનવિકલ્પ યાત્રાને નબળો પ્રતિસાદ મળ્યો જે જોઈ અમીત શાહ સમજી ગયા કે ખોટી બાજી ઉપર તેઓ દાવ લગાડી રહ્યા છે.તેના કારણે અમીત શાહે નક્કી થયા પ્રમાણેનું ગઠબંધન તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. અમીત શાહ પાછા હટી જતા બાપુની સ્થિતિ ખરાબ થઈ ગઈ, પણ બાપુ માટે નાકનો સવાલ હતો તેમણે વિધાનસભાની ચુંટણીમાં જનવકિલ્પના નામે ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કર્યુ અને કોંગ્રેસ સહિત તેઓ ભાજપ સામે પણ આક્ષેપો કરવા લાગ્યા, જેના કારણે સૌથી કફોડી સ્થિતિ બાપુના પુત્ર મહેન્દ્રસિંહની થઈ ગઈ, મહેન્દ્રસિંહને ભાજપ ટીકીટ આપવાની વાત કરે અને બાપુ ભાજપને ગાળો આપે, આ સ્થિતિમાં મહેન્દ્રસિંહ માટે ભાજપના દરવાજા બંધ થઈ જાય અને તેમણે બાપુના જનવિકલ્પમાંથી ચુંટણી લડવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ. આ ઘટનાથી નારાજ મહેન્દ્રસિંહે લાંબો સમય બાપુ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું, બાપુની એક ભુલને કારણે મહેન્દ્રની રાજકીય મહેચ્છાઓ ખરાબ થઈ ગઈ હતી, જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે બાપુએ તાજેતરમાં મહેન્દ્રસિંહને બેસાડી પોતાનો પક્ષ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો