Publish Date: Thu, 16 Nov 2017 (15:19 IST)
Updated Date: Thu, 16 Nov 2017 (15:22 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તારમાં એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 200 પરિવારના લોકોએ ખરાબ રસ્તા, ડ્રેનેજ સહિતની સમસ્યાથી કંટાળી આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે અને મતદાનનો બહિષ્કાર કરીએ છીએ તે પ્રકારના પોસ્ટર સોસાયટીના ગેઇટ બહાર લગાડવામાં આવ્યા છે. આ સાથે જ સોસાયટી આસપાસ રાખેલી ફેન્સિંગવાળી દીવાલ તૂટી ગયા બાદ વર્ષોથી રીપેર કરવામાં આવી નથી. છેલ્લા 4 વર્ષથી આ સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે.
જે બાબતે એ. જી.ના મેનેજર અને કોર્પોરેશન કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર અધિકારીઓએ એકબીજાને ખો આપી હતી. એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં 200થી વધુ પરિવાર વસવાટ કરે છે તે તમામ લોકો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા, ડ્રેનેજની સામસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે હાલ મહિલાઓ મેદાને આવી છે અને પોતાની સોસાયટીના ગેઇટ પર મતદાનનો બહિષ્કાર કરીએ છીએ, કોઈ જ પક્ષે મત માગવા અહીં આવવું નહીં આ પ્રકારનું પોસ્ટર લગાવી પોતાનો ઉગ્ર રોષ રજૂ કર્યો છે.