Publish Date: Mon, 25 Sep 2017 (12:31 IST)
Updated Date: Mon, 25 Sep 2017 (12:37 IST)
બનાસકાંઠાના ૨૦૦ જેટલાં ગામના પૂરપીડિતો એકઠા થયા હતા અને મોટી જાહેરસભા ભરી હતી. ત્યાર બાદ તેમના દ્વારા રેલી કાઢવામાં આવતાં સરકારે તે અંગે ઝડપથી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી છે. અખિલ ભારતીય ક્ષત્રિય મંચની આગેવાની હેઠળ ડીસા ખાતે રેલી કાઢતાં ભાજપના નેતા માટે બનાસકાંઠામાં ચૂંટણીમાં તકલીફ થાય તેવું લાગતાં પૂરપીડિતોને મદદ કરવા માટે તૈયારીઓ શરૂ થઈ છે. અતિવૃષ્ટિમાં નુકસાન અંગે લોકો રોષે ભરાયા છે અને ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી પણ આપી છે.
બનાસકાંઠાના પૂર પીડિતો ઉંચાણવાળા વિસ્તારમાં ઘર અને જમીન ફાળવવા માટે માગણી કરી રહ્યાં છે. સરકાર નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાય છે ત્યાં ઘર આપવા માગે છે. તેમની બીજી માંગણીઓ એવી છે કે, ખેડૂતોનું દેવું એક વર્ષ માટે માફ કરવામાં આવે. નોંધાયેલા પશુઓને મૃત સહાય, ડેરીમાં દૂધ ભરતાં હતા તેના આધારે મૃત પશુ સહાય આપવામાં માંગણી કહી રહ્યાં છે. સરકાર મરેલા પશુનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગી રહી છે. તેના પુરાવા માગી રહી છે. જે પૂરમાં તણાઇ ગયેલાં પશુને અમે પુરાવા ક્યાંથી લઈ આવીએ? દરમિયાન નૉટબંધી, જીએસટી અને પૂરના કારણે મહામંદીમાં સપડાયેલાં વેપારીઓને પાંચ વર્ષ માટે વેરા માફ કરવામાં આવે તેવી માગણી કરી છે.