Publish Date: Thu, 07 May 2020 (17:03 IST)
Updated Date: Thu, 07 May 2020 (17:05 IST)
રાજકોટમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે કલેક્ટર રેમ્યા મોહન તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટથી સુરતમાં આવવા અને જવા અંગે આજ સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. અમદાવાદથી તાજેતરમાં રાજકોટ આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ તરફથી યુવક રહેતો હતો તે જગજીત એપાર્ટમેન્ટના એ અને બી બંને વિંગને ક્વૉરન્ટીન કરી દેવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં રહેતા 68 લોકોને હોમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સુખદ સમાચાર એ છે કે એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કરતા આ યુવકને તેના ઘરને બદલે ફાર્મ હાઉસ પર મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.