Publish Date: Thu, 07 May 2020 (14:17 IST)
Updated Date: Thu, 07 May 2020 (14:18 IST)
સુરત શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા કમિશનરે શહેરને અસર કરતો મોટો નિર્ણય કર્યો છે. તા. 9 મે થી તા.14મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.5 કરોડનું દૈનિક નુકશાન ખેડૂતોને થવાનો અંદાજ છે. સામાન્ય દિવસોમાં એપીએમસી માર્કેટમાં 50 હજારથી વધુ લોકો એપીએમસીમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે 2500 ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ 15000 વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ 1200 ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જો એપીએમસીને બંધ કરી દેવામાં આવે તો શહેરમાં શાકભાજી વેચાણનો સ્ત્રોત અટવાય શકે તેમ છે. અંગે એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવે છે કે, માર્કેટ બંધ કરવામાં આવે તો દૈનિક રૂ.5 કરોડથી વધુનું ખેડૂતને નુકશાન થાય તેમ છે. એવામાં સૌથી મોટું નુકશાન રાજ્યની બહારથી આવતા વટાણા, તુવેર, ગલકા, પરવળ સહિતના શાકભાજીનો જથ્થો અટકી પડશે. ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી નવી વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી નથી પરંતુ શાકભાજી વેચાણ માટે જે સ્પોટ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં તા.9મી મે સુધી શાકભાજીનું વેચાણ થઈ શકશે.