Publish Date: Mon, 30 Apr 2018 (13:34 IST)
Updated Date: Mon, 30 Apr 2018 (13:35 IST)
વાયબ્રન્ટ ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે કેમ કે,ભલે ભાજપ સરકાર એવી ડિંગો મારે કે,રાત્રે પણ મહિલાઓ બિન્દાસપણે હરીફરી શકે પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતમાં રોજ ૧૪ સ્ત્રીઓ બળાત્કાર,છેડતી,સેક્યુઅલ હેરેસમેન્ટ,અપહરણનો શિકાર બની રહી છે. વિકાસશીલ ગુજરાતમાં રોજ છ મહિલાઓ પર બળાત્કાર થાયછે. વર્ષ ૨૦૧૭ના ગૃહવિભાગના આંકડા પર નજર કરીએ તો,અમદાવાદમાં મહિલાઓ સલામત નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે તેનુ કારણ એછેકે,વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં બળાત્કાર અને છેડતીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેમાંય અમદાવાદમાં આવા કિસ્સા વધુ નોંધાયા છે.
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારના ૧૦૨ બનાવો બન્યાં છે જયારે યુવતી-મહિલાઓની છેડતીના ૩૧૭ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં બળાત્કારના ૪૭૨ જયારે વર્ષ ૨૦૧૭માં ૪૭૯ ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં ય ૪૧,સુરતમાં ૫૮ અને વડોદરામાં ૨૧ બળાત્કારની ઘટના બની છે. આખાય રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓની છેડતીની કુલ મળીને ૬૩૧ ઘટનાઓ નોંધાઇ છે જેમાં અમદાવાદ શહર મોખરે રહ્યુ છે. દહેજને કારણે મહિલાઓ પર અત્યાચાર નોંધાયા હોય તેવી ઘટનાઓ પણવધી રહી છે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં ૧૩૩ કિસ્સા બન્યાં છે. અમદાવાદમાં બે વર્ષમાં દહેજને કારણે ૩૧ યુવતીઓ મોતને ભેટી છે. અન્ય શહેરની સરખામણીમાં અમદાવાદમાં મહિલા અત્યાચારના કેસો પ્રમાણમાં વધુ નોંધાયા છે. દહેજને લીધે મહિલા અત્યાચારમાં સુરત શહેર મોખરે રહ્યુ છે. આમ, ગુજરાતમાં મહિલાઓ અત્યાચારના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે જે કાયદા વ્યવસ્થાની બગડતી સ્થિતીનું ઉદાહરણ છે.