Publish Date: Mon, 25 Jan 2021 (16:21 IST)
Updated Date: Mon, 25 Jan 2021 (16:23 IST)
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સર્ય મંદિરની પરિકલ્પનાને રજુ કરતો ટેબ્લો રજુ કરાશે. જેમા રાજ્યની મહિલા કલાકારો દ્વારા ટીપ્પણી નૃત્ય કરવામાં આવનાર છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ટેબ્લોના તમામ કલાકારોને પોતાના નિવાસ સ્થાને આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાનો ટેબ્લોમાં ટીપ્પણી નૃત્ય કરનારા ગુજરાતી મહિલા કલાકારો તથા માહિતી ખાતાના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરી હતી. ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સૂર્યમંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્સ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. LED ફ્લડ લાઈટ્સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે. મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે 12 મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઊઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. "સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા..." એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.