Publish Date: Tue, 09 Jul 2019 (14:51 IST)
Updated Date: Tue, 09 Jul 2019 (15:03 IST)
ચોમાસાની સિઝન શરૂ થતા જ સિંહોમાં કૃમિની સમસ્યા જોવા મળી રહી છે. આથી વન વિભાગ એક્શનમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા મારણમાં દવાના ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગે ગીર અને રેવન્યુ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરી છે. સિંહોએ કરેલા મારણમાં ડોઝ આપી તેમને કૃમિથી બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
થોડા સમય પહેલાં મેંદરડા વિસ્તારમાં કૃમિના કારણે ત્રણ સિંહોના મોત થયા હતા. જેને લઈને વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં પરિવર્તન આવતા સિંહો પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં સિંહોને કૃમિની સમસ્યા સર્જાતી હોય છે. સિંહોના મારણમાં દવા નાંખી અને તેને કૃમિના રોગથી બચાવવાની કામગીરી કરવામાં આવી છે. ગત વર્ષે ગીરના સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ લાગ્યો હતો જેના કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે વનવિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.