Publish Date: Fri, 23 Mar 2018 (15:24 IST)
Updated Date: Fri, 23 Mar 2018 (15:26 IST)
ગઈ કાલે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે સ્કૂલોએ નક્કી કરેલી ફી વાલીઓએ ભરવી પડશે ત્યાર બાદ જાણે ગુજરાતમાં ફરીવાર ચૂંટણી સમયનું વાક્ય ગૂંજતું થયું છે કે મારા હાળા છેતરી ગ્યાં. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આજે સ્કૂલો દ્વારા લેવાતી ફી મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ડીઇઓ કચેરીએ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ ડીઇઓ કચેરીમાં જ કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. મોટી સંખ્યામાં ડીઇઓ કચેરીએ ઉમટી પડેલા કોંગ્રેસના કાર્યકરો ડોક્ટર બની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માના પૂતળાનું ઓપરેશન કરવાના હતા. પરંતુ પોલીસ દ્વારા આ પૂતળુ જપ્ત કરાતા જ કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. થોડીવાર તો મામલો બિચક્યો હતો. પોલીસે અમુક કાર્યકરોની અટકાયત કરી હતી.