Publish Date: Tue, 24 Oct 2017 (12:50 IST)
Updated Date: Tue, 24 Oct 2017 (12:55 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભારતના ઈતિહાસમાં અનોખી અને ટર્નીંગ પોઈન્ટ વાળી સાબીત થવાની છે. એક બાજુ ભાજપને હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાઈ અને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતા અને જનસમુદાયના વિરોધનો ભય છે ત્યારે વડાપ્રધાન મોદી જે વિધાનસભા બેઠક ઉપરથી સતત ત્રણ વાર જીત્યા હતા તે બેઠક ઉપર ભાજપાના જ 16 ઉમેદવારોએ દાવો નોંધાવ્યો છે.
હાલમાં ગુજરાત પૂરજોશમાં ચૂંટણીના રંગે રંગાઈ ગયું છે. ત્યારે જુદી જુદી બેઠક માટે દાવેદારો પોતાના સમર્થકો સાથે ખૂબ લોબિંગ કરી રહ્યા છે. આવી જ એક બેઠક છે મણીનગર જેના માટે એક બે નહીં પરંતુ 16 જેટલા દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. મણિનગર વિધાનસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો આ બેઠકમાં મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનનાં લાંભાથી શરૂ થઈને છેક સી.ટી.એમ મિલ સુધીના વિસ્તારને આવરી લે છે. જો કે આ બેઠક પરથી દાવેદારી નોંધવનારા મોટા ભાગના લોકો પટેલ સમુદાયના છે. હાલમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ છે. જે વર્ષ 2014માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, મણિનગર બેઠક પરથી લાંભા વોર્ડમાંથી યુવા નેતા અને પૌરસ પટેલે દાવેદારી નોંધાવી છે. જયારે ઇસનપુર વોર્ડમાંથી વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલે દાવેદારી કરી છે. જયારે મણિનગર વોર્ડમાંથી પૂર્વ મેયર અસિત વોરા, પૂર્વ કાઉનસીલર રમેશ પટેલ અને મહેશ કસવાલાએ પણ દાવેદારી નોંધાવી છે. જયારે ખોખરા વોર્ડમાંથી પૂર્વ કાઉન્સિલર નયન બ્રહ્મભટ્ટ અને મહેન્દ્ર પટેલે દાવેદારી રજુ કરી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ઉમેદવાર તરીકે દાવેદારી કરી છે. કમલેશ પટેલ ધારાસભ્ય તરીકે રહ્યા બાદ નરેન્દ્ર મોદી એ 2002માં આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને 75000 વોટથી જીતીને સળંગ 2007 અને 2012 માં પણ જીત મેળવી હતી. ત્યાર બાદ એમના પ્રધાનમંત્રી બન્યા બાદ આ વિધાનસભામાંથી સુરેશભાઈ પટેલે 2014ની પેટા ચૂંટણીમાં નામાંકન ભરી ને 55000 વોટથી જીત મેળવી હતી.