Publish Date: Tue, 05 May 2020 (17:56 IST)
Updated Date: Tue, 05 May 2020 (17:51 IST)
ગુજરાતના 31 જિલ્લામાં કોરોના ના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ જિલ્લામાં લોકડાઉનના 42મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સૌ પ્રથમ બે કેસ ભેસાણમાંથી મળ્યા છે. ભેસાણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર વેકરીયા અને પ્યુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ બે કેસને કારણે જુનાગઢનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બે કેસને પગલે ભેસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ કરાયું છે. તો સાથે તબીબ અને પ્યુનના સાથી કર્મચારીઓના નમૂનાઓ લેવાનું શરૂ કરાયું છે. આમ, જુનાગઢમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. હવે માત્ર અમરેલી જિલ્લો જ કોરોનાથી બચી રહ્યો છે.ગુજરાતના ત્રણ જિલ્લા અમરેલી, જુનાગઢ અને દ્વારકા જિલ્લા કોરોનાથી બચી શક્યા હતા. જોકે, બે દિવસ પહેલા દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કેસ નોંધાતા ગુજરાતના કુલ 31 જિલ્લામાં કોરોના પહોંચ્યો હતો. પરંતુ હવે જુનાગઢ જિલ્લો પણ કોરોનાના લિસ્ટમાંથી બાકાત રહ્યો નથી. બે કેસ નોંધાતા જુનાગઢનું તંત્ર દોડતું થયું છે. સાથે જ આરોગ્ય કેન્દ્રમાં જ સૌથી પહેલા કોરોના પહોંચ્યો હોવાથી તંત્ર માટે તે સૌથી મોટી સમસ્યા કહી શકાય. અહી અનેક દર્દીઓ રોજ મુલાકાત લેતા હોય છે. હવે માત્ર અમરેલી જિલ્લો જ એવો બચ્યો છે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમરેલી જિલ્લાને લોકડાઉન પાર્ટ -3માં ગ્રીન ઝોન તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
webdunia
Publish Date: Tue, 05 May 2020 (17:56 IST)
Updated Date: Tue, 05 May 2020 (17:51 IST)