Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1લી જુલાઈ ડોક્ટર્સ ડે વિશેષ: જાણો કેમ ઉજવવા આવે છે ડોક્ટર્સ ડે

1લી જુલાઈ ડોક્ટર્સ ડે વિશેષ: જાણો કેમ ઉજવવા આવે છે ડોક્ટર્સ ડે
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (08:13 IST)
તા.1લી જુલાઈ એ ભારતના રાજનીતિજ્ઞ તબીબ ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ છે જે એક આદર્શ તબીબની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતાં. તેમની યાદમાં આ દિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે સરકારી હોસ્પિટલના એક કુશળ ડોકટરની નવી પહેલની વાત કરવી ઉચિત ગણાશે.
 
કોરોનાના સંકટ અને તે પછી મ્યુકોર ની મુસીબતના ભારણમાં હળવાશ આવતા જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ,ગોત્રીના કાન, નાક, ગળાના વિભાગમાં અન્ય પ્રકારની સર્જરી નું કામ લાંબા સમયથી અટકેલું કામ આજે એક વિશેષ પ્રકારની સર્જરીથી ફરીથી શરૂ થયું છે.
 
આજે આ વિભાગના ડો.હિરેન સોની અને તેમના સહયોગીઓ એ એક ચોવીસ વર્ષની મહિલાના ગળાની લાળ ગ્રંથીમાંથી સાઇલેંડોસ્કોપ નામના યંત્રની મદદ થી 1 સેમી ની પથરી કાઢવાનું ખાસ ઓપરેશન કર્યું હતું. આ સર્જરીને એટલા માટે ખાસ કહી છે કે આ યંત્ર રાજ્યની સરકારી અને બહુધા ખાનગી હોસ્પિટલો પૈકી માત્ર વડોદરાની આ સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને તેની સર્જરી અન્યત્ર ક્યાંય થતી હોવાનું જાણમાં નથી.
 
ડો.સોનીએ જણાવ્યું કે,લાળ ગ્રંથીની પથરીને સાયલેંડોસ્કોપની મદદથી કાઢવાનું કે સાંકડી થઈ ગયેલી આ ગ્રંથીને પહોળી કરવાનું અને સ્ટેન્ટ બેસાડવાનું કામ માત્ર ગોત્રી હોસ્પિટલમાં થતું હોવા થી,છેક જામનગર,રાજકોટ, સૂરત અને અમદાવાદ જેવા શહેરોમાં થી અને મધ્ય પ્રદેશ,રાજસ્થાન જેવા રાજ્યોમાંથી તબીબો આવી તકલીફો ધરાવતા દર્દીઓ ને અહી મોકલે છે.
 
નાનામાં નાના 3 વર્ષની ઉંમરના બાળકની પણ અહીં સફળ સર્જરી ભૂતકાળમાં કરવામાં આવી છે જે બાળક ને છેક જામનગરથી અહી સારવાર માટે લાવવામાં આવ્યું હતું.નાના બાળકો ને જ્યારે વારંવાર ગાલપચોળું થતું હોય ત્યારે લાળ ગ્રંથીમાં મુશ્કેલીની શક્યતા રહે છે જેનું કાયમી નિવારણ આ સર્જરી થી શક્ય છે.
 
એટલે અત્યાર સુધી આપણે કિડની કે ગોલ બ્લેડર જેવા અંગોમાં પથરી ની તકલીફ અને સર્જરી ની વાત સાંભળી હતી.પરંતુ લાળ ગ્રંથી ની પથરી કાઢવાની આ અનોખી સર્જરી વડોદરાના સરકારી દવાખાનામાં થાય છે એ નવી વાત છે.
 
અત્યાર સુધી ઉપરોક્ત યંત્રની મદદ થી લાળ ગ્રંથી ની પથરી કાઢવા કે સાંકડી ગ્રંથી ને પહોળી કરવાના અંદાજે 60 જેટલી સર્જરી અત્રે કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે,આ યંત્ર ગોત્રી હોસ્પિટલ ને લગભગ 2015/ 16 માં ફાળવવામાં આવ્યું અને રાજ્યમાં આ સર્જરીની અમે પહેલ કરી.વચ્ચે મારી અન્યત્ર બદલી થવા થી અને તે પછી કોરોના સંકટને લીધે આ સર્જરી ની કામગીરી અટકી હતી.તેને નવેસર થી શરૂ કરવાનો આનંદ છે.
 
સામાન્ય ભાષામાં જેને શેક આપવો તરીકે ઓળખવામાં આવે છે તેવી કેન્સરની રેડીઓ થેરાપી પછી ઘણાં દર્દીઓની લાળ ગ્રંથી ની સક્રિયતા ઓછી થઈ જાય છે.તેના લીધે આવા દર્દીઓને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે.તેવા કેસોમાં જો લાળ ગ્રંથી અકબંધ હોય તો  દૂરબીન થી તપાસ કરીને ઊંડે સુધી દવા આપીને,આ ગ્રંથી ને લાળ ના જરૂરી ઉત્પાદન માટે ફરી થી સક્રિય કરી દર્દીઓ ની તકલીફો નિવારવામાં આવે છે.
 
પહેલા લાળ ગ્રંથી કાઢી ને આ કામગીરી કરવામાં આવતી.હવે ઉપરોક્ત યંત્રની મદદ થી તે કાઢ્યા વગર સીધેસીધી અવરોધ રૂપ પથરી કાઢી શકાય છે.આમ,આ એક તબીબી આશીર્વાદ સમાન સુવિધા છે.
 
આ સર્જરીમાં વયસ્કો માટે 1મીમી જાડાઈ નું અને બાળકો માટે 0.6 મીમી જાડાઈ નું દૂરબીન ઉપયોગમાં લઈ, મોનીટરમાં નિહાળી નિદાન અને સારવાર એકસાથે થઈ શકે છે.તેમાં કોઈ ચેકો કે ટાંકો લેવો પડતો નથી એટલા ચહેરા ની સુંદરતા જળવાય છે.આ યંત્ર સાથે બાસ્કેટ ફૉર્સપ્સ જોડેલું હોય છે અને તેના પાંખીયા ટોકરી જેવો આકાર બનાવી પથરી ને જકડી લે છે.
 
રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા સરકારી દવાખાનાઓને અદ્યતન તબીબી યંત્રો થી સજ્જ કરવામાં આવે છે. ડો.સોની જેવા કર્મયોગી તબીબો એ યંત્રો ની મદદ થી કોર્પોરેટ હોસ્પિટલમાં ન મળે એવી સારવાર સરકારી દવાખાનામાં આપે છે જે સહુ માટે ગર્વની વાત ગણાય.તા.1લી જુલાઈ એ ઉજવાતા ડોક્ટર્સ ડે નિમિત્તે આવા કર્મયોગી તમામ તબીબો ને સલામ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં કોરોના વેકસીનેશનનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 2 કરોડને પાર