Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાયરસ માટે એન્ટીવાયરલ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી, તો આટલી તકેદારી રાખો

કોરોના વાયરસ માટે એન્ટીવાયરલ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી, તો આટલી તકેદારી રાખો
, બુધવાર, 29 જાન્યુઆરી 2020 (13:16 IST)
ગુજરાત સહિત દેશમાં નોવેલ કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. નોવેલ કોરોના વાયરસ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક છે. ચાઇનામાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને પરત લાવવા રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ વિદેશ મંત્રી સાથે વાત કરી હતી જેમાં વિદેશ મંત્રાલય તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં આ વાયરસની પરિસ્થિતિ સામે પહોંચી વળવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા.  
 
આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ કહ્યું હતું કે, ચાઇનામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
 
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી તેમજ સ્થાનિક કક્ષાએથી આરોગ્ય વિભાગને મળેલ માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાઈનાથી આવેલ અમદાવાદમાં-૪, વડોદરામાં-૨, સુરત મહાનગરપાલિકામાં-૧, રાજકોટમાં-૧, આણંદમાં-૧ અને જુનાગઢમાં-૧ એમ કુલ ૧૦ મુસાફરોને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મુલાકાત લેવામાં આવે છે. આ તમામ મુસાફરો સ્વસ્થ્ય છે અને તેમનામાં આ રોગના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. આગામી વધુ ૨૮ દિવસ સુધી આરોગ્ય અધિકારીઓ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણ જણાશે તો તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવામાં આવશે. 
 
કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાઈનાથી ફ્લાઈટ આવે છે તેવા દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, કોચીન, હૈદરાબાદ અને ચેન્નાઈ ખાતેના એરપોર્ટ હેલ્થ ઓફીસ દ્વારા એન્ટ્રી સ્ક્રીનીંગ શરુ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં પણ અમદાવાદ સહિત બીજા ૧૨ એરપોર્ટ પર સાઈનેજીસ ડિસપ્લે તેમજ સેલ્ફ રીપોટીંગ કરવાની સુચના આપવામાં આવી છે. જે મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ અને ૨ ઉપર હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે અને ચાઈનાથી આવનાર જે મુસાફરને આ રોગના લક્ષણો હોય તો એરપોર્ટ ઓથોરીટી કે આગામી ૨૮ દિવસમાં આ રોગના લક્ષણો જણાય તો તેને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરવો. 
 
આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ ખાતે પણ હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે. અમદાવાદ કે રાજયના અન્ય કોઈ એરપોર્ટ ખાતે હાલમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવાની સુચના મળેલ નથી, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓફીસ ખાતે સ્ક્રીનીંગ કરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ-અમદાવાદ ખાતે ૨૪x૭ મેડીકલ ટીમ તથા એબ્યુલન્સ રાખવામાં આવેલ છે. 
 
ખાસ કરીને કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે, જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક ઉપરાંત અન્ય તમામ નિષ્ણાતો અને સ્ટાફને આ રોગ અંગે સેન્સીટાઈઝ કરવામાં આવેલ છે. રાજયમાં તમામ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં આ રોગ માટે જરૂરી તમામ દવાઓ વેન્ટીલેટર જેવા સાધનો સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવા સુચના આપવામાં આવી છે.
 
રાજયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ તેમજ હોસ્પિટલ ખાતે પી.પી.ઈ. કીટ, એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક વગેરેનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના તબીબોને તેમજ ખાનગી હોસ્પિટલો કે જેમાં આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલના તબીબોને રાજયના નિષ્ણાતો દ્વારા આ રોગ તેમજ તેની ગાઈડલાઈન વિષે તાલીમ આપવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી આવેલ માર્ગદર્શિકા તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ સંબંધિતોને મોકલી આપવામાં આવી છે.
 
તેમણે કહ્યું હતું કે, હાલમાં ચાઈના વુહાન, હુબઈ અને અન્ય પ્રાંતોમાં નોવેલ કોરોના વાયરસ-૨૦૧૯ (nCoV-2019)ના કારણે ૨૮૦૦ થી વધુ કેસ અને ૮૨ જેટલા મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, સાઉથ કોરીયા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, હોંગકોંગ, મલેશિયા, ફારસ, તાઈવાન, મકાઉ, વિયેતનામ, કેનેડા, શ્રીલંકા તેમજ નેપાળ વગેરે દેશોમાં પણ આ રોગના કેસ નોંધાયેલ છે. પરંતુ આ દેશોમાં હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયા નથી. 
 
ડૉ. રવિએ આ વાયરસના લક્ષણોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે. આ રોગનો ફેલાવો મનુષ્યથી મનુષ્યમાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે. આ રોગની તપાસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી, પુના ખાતે કરવામાં આવે છે. રાજ્યમાં જો કોઈ કેસ નોંધાય તો તેનું સેમ્પલ પુના ખાતે મોકલી આપવામાં આવશે. આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી. રોગના અટકાવ અને નિયંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દર્દીને આઈસોલેશનમાં રાખવો, પી. પી. ઇ. કીટનો ઉપયોગ કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું વગેરે જેવી તકેદારી રાખવા તેમણે રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેવાઇ-વેવાણની લવસ્ટોરીમાં નવો વળાંક આવ્યો, ફરી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો