Publish Date: Thu, 21 Dec 2017 (13:48 IST)
Updated Date: Thu, 21 Dec 2017 (14:00 IST)
ગુજરાતમાં ભાજપની સફળતાને પગલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચાને વેગ આપતા વજુભાઈ વાળાએ તેમના રાજભવનના સેક્રેટરિયેટને 16 ડિસેમ્બર સુધીમાં બધી જ ફાઈલ ક્લિયર કરી દેવાનો નિર્દેશ કર્યો છે. ચર્ચા મુજબ 18 ડિસેમ્બર પછી કર્ણાટકમાં રાજ્યપાલનો હોદ્દો કોઈ બીજાને સોંપાય તેવી શક્યતા છે. ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યું કે વજુભાઈ વાળાએ ટ્રાન્સફર માટે અંગત કારણોસર વિનંતી કરી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વજુભાઈ વાળાએ કોઈપણ હિન્દી ભાષી રાજ્યમાં ટ્રાન્સફર માંગી છે. તેઓ કર્ણાટક ગયા પછી ભાષા તેમના માટે એક મોટી અડચણ બની ગઈ છે. તેમને સ્થાનિક સમસ્યાઓ સમજવામાં મુશ્કેલી પડી રહી છે. આથી તેમણે હિન્દી ભાષી રાજ્યમાં ટ્રાન્સફર માંગી છે જેથી તે પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે. સૂત્રોના જણાવ્યા મુજબ વજુભાઈ વાળા મોદીના નજીકના માણસ હોવાથી તેમની વિનંતી સ્વીકારી લેવાઈ છે.કેન્દ્ર સરકારમાં ભાજપના એક નેતાએ જણાવ્યું, તેમને મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર અપાય તેવી શક્યતા છે. જાહેર ફંકશનમાં હિન્દીમાં બોલવાની તેમની આદત ઘણી કન્નડ સંસ્થાઓને ગમી નથી.