Publish Date: Thu, 21 Dec 2017 (13:37 IST)
Updated Date: Thu, 21 Dec 2017 (13:40 IST)
એનસીપીની ટિકીટ પર હાલમાં જ ચૂંટાયેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે પોલીસ ફરિયાદ થઈ છે. મહત્વની વાત તો એ એ છે કે આ મામલામાં રાણાવાવ પોલીસ જ ફરિયાદી બનતાં કાંધલ જાડેજાને પકડવા માટે નાકાબંધી કરાઈ હતી અને આખરે કાંધલ સહિત 10 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ કાંધલ જાડેજા તેમજ તેના ભાઈઓ કરણ અને કાના જાડેજા સામે પણ ફરિયાદ થઈ છે. તેમના પર સામત મેર નામના યુવકને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હોવાનો આરોપ છે. હકીકતમાં તેમને શંકા હતી કે સામતે ચૂંટણીમાં કાંધલ જાડેજા વિરૂદ્ધ કામ કર્યું છે. આ વાતનો ખાર રાખી સામતને માર મારવા માટે ટોળું તેના ઘરે ગયું પણ સામત હાથ લાગ્યો નહોતો. સામત હાથ ન લાગતા આખું ટોળું તેની શોધમાં પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જ વહેલી સવારથી ધમાચકડી મચી ગઈ હતી. આ મામલામાં જમાદાર અને કોન્સ્ટેબલ ઉપર પણ કર્યો હુમલો કરવામાં આવ્યો હતો તેમજ રાણાવાવ પોલીસ સ્ટેશનનો ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો. પોરબંદર SP શોભા ભુતડા પણ રાણાવાવ પહોંચ્યા હતા.