અમદાવાદથી મુંબઈની ટ્રેનોમાં 80 % પેસેન્જર ઘટ્યા, 35 ફ્લાઇટ રદ
Publish Date: Fri, 20 Mar 2020 (13:22 IST)
Updated Date: Fri, 20 Mar 2020 (13:25 IST)
કોરોના વાઇરસના પગલે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ પેસેન્જરો 80 ટકાથી વધુ મુંબઈ અને 70 ટકાથી વધુ દિલ્હી તરફ જતી ટ્રેનમાં ઘટ્યા છે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ સ્ટેશને મુંબઈ રૂટની ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવનારા પેસેન્જરોની સંખ્યા 5 ગણીથી વધુ વધી ગઈ છે. રેલવે દ્વારા અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. આ કેન્સલ થયેલી તમામ ટ્રેના પેસેન્જરોને રેલવે દ્વારા 100 ટકા રિફન્ડ આપવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરાઈ છે, જેમાં અમદાવાદથી મુંબઈની 8, દિલ્હીની 7, બેંગલુરુની 2, હૈદરાબાદની 2, લખનઉની 2, ચંડીગઢની 2, પુણેની 2, વારાણસીની 2 સહિત અન્ય 35થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે.
વડોદરાના 6 લોકો સિંગાપુરથી પરત ફરતા મુંબઈ એરપોર્ટથી તેમને સીધા કોરન્ટાઈનમાં મૂકી દેવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ગુરુવારે સવારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ભાગી નીકળ્યા હતા. મુંબઈથી ટ્રેન ઉપડ્યા બાદ પેસેન્જરોને જાણ થતાં તેમણે તત્કાલ ટીટીઈને જાણ કરી હતી. રેલવેએ આ તમામ 6 લોકોને બોરીવલી સ્ટેશને ઉતારી દીધા હતા.
એ જ રીતે મુંબઈથી ઉપડેલી જમ્મુતાવી એક્સપ્રેસમાં પણ એક યુવક મુસાફરી કરતો હોવાની જાણ થતાં ટીટીઈએ સુરક્ષા જવાનોની મદદથી તેને ગોધરા સ્ટેશને ઉતારી દીધો હતો. આ ઉપરાંત અવંતિકા એક્સપ્રેસમાં મુસાફરી કરવા આવેલી કોરન્ટાઈનમાંથી ભાગેલી મહિલા ટ્રેનમાં ચઢે તે પહેલા જ મુંબઈ સ્ટેશન પરથી ઝડપાઈ ગઈ હતી.
આગળનો લેખ