Publish Date: Wed, 08 Jun 2022 (19:15 IST)
Updated Date: Wed, 08 Jun 2022 (19:16 IST)
પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. મહત્વનું છે કે, અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને અરવલ્લી પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. અરવલ્લીના SPએ પોલીસ અને SOGને તપાસના આદેશ આપ્યા છે. વધુંમાં SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા સહિતની સૂચના જારી કરી છે.
અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસ સતર્ક બની છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી sp દ્વારા sog સહિતના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.