Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાવણ મહિનામાં યોજાતા તરણેતરના મેળા પર પ્રતિબંધ, કોરોના મહામારીની ત્રીજી લહેરની સાવચેતી માટે લેવાયો નિર્ણય

શ્રાવણ મહિનામાં યોજાતા તરણેતરના મેળા પર પ્રતિબંધ, કોરોના મહામારીની ત્રીજી લહેરની સાવચેતી માટે લેવાયો નિર્ણય
, શનિવાર, 31 જુલાઈ 2021 (12:38 IST)
ચોટીલા ડુંગરની ધારે સરોવરને કાંઠે, થાનગઢ પાસે આવેલા તરણેતર ગામને પાદરે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ ભરાતા તરણેતરના લોકમેળામાં પૌરાણિક મહત્વપની સાથોસાથ લોકજીવનનો ધબકાર ગૂંથાયેલો છે.હીરના દોરના ભરતની સુશોભિત છત્રીઓ તેની ખાસિયત છે.સુંદર ભરત ભરેલી સોળ-સોળ સળિયાની છત્રીઓમાં મોતીભરતથી ભરેલા પોપટ,મોરલાંથી સજજ કરેલી છત્રીઓ સાથે-યુવાન યુવતીઓ મન મૂકીને ગરબા રમે છે.ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ, સંશોધકો,ઇતિહાસ પ્રેમીઓ, સહેલાણીઓ મેળો મહાલવા ઉમટે છે. પરંતુ કોરોનાની મહામારીએ આવા અનેક મેળા, પ્રદર્શન, રથયાત્રાઓ જેવા લોક ઉમંગના કાર્યક્રમોને ગ્રહણ લગાડ્યુ છે. આવા તહેવારો માત્ર લોકો માટે ઉજવણીનુ જ માઘ્યમ નથી પરંતુ આ તહેવારો અનેક લોકોને રોજગાર પણ આપે છે. પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળા પર પ્રતિબંધ લગાવાયો છે. 
 
આ વર્ષે પણ શ્રાવણમાસમાં યોજાતા લોકમેળાઓ રદ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટભરમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર પછી હવે સુરેન્દ્રનગરમાં પણ શ્રાવણ મહિનામાં યોજાતા મેળા અને તરણેતરના મેળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે સૌરાષ્ટ્રનો સૌથી વધુ પ્રચલિત અને વિશ્વ વિખ્યાત લોક ભાતીગળનો સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો પણ બંધ રહેશે.  શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના મેળાનું અનેરું મહત્ત્વ રહેલું છે. સતત ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં લોકો અહી આવતા હોય છે. આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહીં થઈ શકે તે માટે જિલ્લા કલેકટર એ.કે ઔરંગાબાદકર દ્વારા સૂચના આપવામાં આવી છે. જો કે, ધાર્મિક સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, રાબેતા મુજબ પુજા અર્ચના કરી શકાશે.
 
એકબાજુ સરકારી કાર્યક્રમો, પક્ષના કાર્યક્રમોમાં ભીડ થતી જોવા મળે છે તો બીજી બાજુ જનતાને ભીડ ન કરવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે ત્યારે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી, ભીડ એકઠી ન થાય તે માટે સુરેનદ્રનગર જીલ્લાના લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ગત વર્ષ પણ મેળો યોજાયો ન હોતો તેથી આ વર્ષે પણ તરણેતરનો મેળો યોજાશે નહીં. લોકમેળાઓમાં નાના-નાના ધંધાર્થીઓ પાણીના પાઉચથી લઈને રમકડા અને નાસ્તાથી લઈને ભોજન સુધીનો વેપાર ધંધો કરી રોજગારી મેળવતા હતા તેમને આ વર્ષે પણ ફટકો પડશે કોરોનાની ભયાનક મહામારીના આ સમયમા સંક્રમણ ન વધે તે માટે સાવચેતી ના ભાગરૂપે લોકમેળા ન યોજાય તે જરૂરી છે કારણ કે, મેળામાં ખુબ મોટી ભીડ થતી હોય છે અને તેથી લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય આવકારદાયક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tokyo Olympics, Hockey: વંદના કટારિયાએ હૈટ્રિક બનાવીને રચ્યો ઈતિહાસ, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ