Publish Date: Fri, 10 Jan 2020 (12:39 IST)
Updated Date: Fri, 10 Jan 2020 (12:45 IST)
સુરત શહેરમાં છેલ્લા લાંબા સમય થી સ્પામાં થાઈલેન્ડની યુવતિ ગેરકાયદે રહીને દેહવેપાર નો ધંધો કરતા હોવાની વિગત સુરત પોલીસ ને મળી હતી. જેના આધારે સુરતનાં ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડા પાડીને વર્ક પરમિટ વગર કામ કરતી 30 વિદેશી યુવતિઓને ડિટેઇન કરી નારીગૃહમાં મોકલી આપી હતી. આ તમામ યુવતિ ઓને આજે રાત્રે અમદાવાદ એરપોર્ટથી તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં આવશે. સુરતના પોર્શ વિસ્તારમાં ખાનગીમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની દેહ વેપાર કરનારી યુવતિ મોટા ભાગની થાઈલેન્ડની વતની હોવાની વિગત બહાર આવી હતી. આ યુવતિઓ ગેરકાયદેસર રીતે સુરતમાં કામ કરતી હોવાની વિગતો સરકારને આપવામાં આવી હતી. જેને લઈને આ તમામ યુવતિને તેમના દેશ મોકલવા માટેના આદેશ બાદ ગતરોજ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે તમામ યુવતિઓને બસ મારફતે અમદાવાદ ખાતે લઇ જવામાં આવી હતી. અમદાવાદમાં એરપોર્ટ પર તમામ યુવતિઓને એફઆરઓને સોંપી દેવામાં આવશે અને એરપોર્ટથી યુવતિઓને તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં આવશે. પોલીસે 30 વિદેશી યુવતિઓ પાસેથી વિઝાના દંડની રકમ એક યુવતિ દીઠ 28,800ની બેંકમાં ભરાવી હતી. આવી 30 યુવતિઓ પાસેથી 8.64 લાખનો વિઝાનો દંડ પણ ભરાવ્યો હતો. તમામ યુવતિઓને તેમના પોતાના ખર્ચે મોકલવામાં આવશે.