Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં એક જ દિવસમાં 10 લોકોએ આત્મહત્યા કરતા ચકચાર

સુરતમાં એક જ દિવસમાં 10 લોકોએ આત્મહત્યા કરતા ચકચાર
, શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (08:59 IST)
કોરોના વાયરસની મહામારીમાં લાગુ લોકડાઉન પછી ગુજરાતના મોટા શહેરોમાંથી આત્મહત્યાના ઘણાં ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બુધવારે એક જ દિવસમાં 10 લોકોના આપઘાતની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં એક જ દિવસમાં જે 10 લોકોએ આત્મહત્યાનું પગલું ભરીને જીવન ટૂંકાવ્યું છે તે અંગેની મળતી વિગતો કંઈક આ મુજબ છે.ડિંડોલીમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ છેલ્લા 10 વર્ષથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. આખરે બીમારીથી કંટાળીને તેમણે સવારે ઘરે જ આપઘાત કરી લીધો હતો.પાંડેસરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકે ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે, ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરંતુ, આ યુવકે કયા કારણસર આપઘાત કર્યો તે અંગે પોલીસ હજુ જાણી શકી નથી.વેડરોડ ખાતે રહેતા 52 વર્ષીય વ્યક્તિએ જીવનથી કંટાળીને ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. તેઓ એકલવાયું જીવન પસાર કરતા હતા.અડાજણના 39 વર્ષીય વ્યક્તિએ મનમાં વિચારોના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટ પરથી જાણવા મળ્યું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી દુ:ખાવાની ફરિયાદ કરતા હતા.પાર્લેપોઈન્ટ નજીક રહેતા 20 વર્ષીય યુવકે કામધંધો નહીં કરતો હોવાની બાબતે માતા-પિતાએ ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે.સચિન જીઆઈડીસી ખાતે રહેતા 30 વર્ષીય યુવકે મંગળવારે ઘરમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. તેમણે કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.નવાગામ ડિંડોલીમાં રહેતા 27 વર્ષીય મહિલાએ પારિવારિક ઝઘડામાં બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મંગળવારે તેમનું મોત થયું છે.કોઝ-વે રોડ સ્થિત રહેતી 18 વર્ષીય યુવતીએ મંગળવારે મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. તેણે ટિફિન બનાવવા બાબતે મંગળવારે ભાઈ સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. રાંદેર ટેકરા ફળિયા ખાતે રહેતી 17 વર્ષીય સગીરાને પરિવાર દ્વારા લગ્નમાં જવાની ના પાડતા તેણે ગુસ્સામાં આવીને ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે. મજૂરાગેટ વિસ્તારમાં રહેતા 74 વર્ષના વૃદ્ધે એક વર્ષથી મિલ બંધ થઈ જતા આર્થિક પરિસ્થિતિથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો, જ્યાં મનપા જીતશે ત્યાં એક વર્ષ ટેક્સ માફ