Publish Date: Mon, 13 Jul 2020 (15:54 IST)
Updated Date: Mon, 13 Jul 2020 (15:58 IST)
સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી બે મુખ્ય વેપાર ધંધા ટેકસ્ટાઇલ અને ડાયમંડને અસર થઇ છે. ડાયમંડ ઉદ્યોગમાં ઘણાં એકમો બંધ છે અને તેને કારણે રત્ન કલાકારો હાલાકી ભોગવી રહ્યાં છે. ડરના માર્યા ઘણાં રત્નકલાકારો વતન જઈ રહ્યાં છે. રોજગારી ગુમાવનાર રત્નકલાકારો માટે રુ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ મૂકવામાં આવી છે. રત્ન કલાકાર વિકાસ સંઘે માગણી મૂકતાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે રત્ન કલાકારો એકમો બંધ થયાં હોવાથી વતન નીકળી રહ્યાં છે, અત્યારે રોજગારી નથી. વળી જો કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં હોસ્પિટલ દાખલ થવું પડે તો, સરકાર તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સરકાર તરફથી સહાય આપવામાં આવતી હોય છે, ત્યારે હાલના સંજોગોમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રુ. 5 લાખનું પેકેજ આપવામાં આવે અને રત્ન કલાકારોને આર્થિક સહાય આપી શકાય તે માટે એક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે.